નવી દિલ્હી,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી ૫ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં વિકેટકીપર બેટ્સમેન અને સ્ફોટક બેટ્સમેન વૃષભ પંતને સ્થાન આપવામ આવ્યું છે. ભારતીય ટીમમાં વૃષભ પંતનો સમાવેશ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના સ્થાને કરવામાં આવ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે, ૨૦૧૯માં રમનારા વર્લ્ડકપ બાદ એમ એસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ શકે છે, ત્યારે ધોનીના ઉત્તરાધિકારી તરીકે પંતનું નામ સૌથી આગળ જણાઈ રહ્યું છે.
બીજી બાજુ આગામી વર્ષે ઈંગ્લેંડમાં રમનારા વર્લ્ડકપને હજી ૯ મહિનાનો સમય જ બાકી છે, ત્યારે સિલેકશન કમિટી દ્વારા પણ યુવાન ખેલાડીઓને મૌકો આપીને એક બેંચ તૈયાર કરવા માંગે છે.
ભારતીય કિકેટ ટીમની પસંદગી સમિતિના ચેરમેન એમ કે પ્રસાદને પૂછવામાં આવ્યું કે ટીમના પ્રથમ વિકેટકીપર કોણ હશે, ત્યારે તેઓએ જણાવ્યું, “આ કોઈ સવાલ નથી કે, નંબર ૧ વિકેટકીપર કોણ છે. ટીમના બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને મૌકો આપવામાં આવ્યો છે અને હવે પંતને અજમાવવામાં આવી રહ્યો છે. યોગ્ય સમયે જ અમારા દ્વારા નિર્ણય કરાશે કે, બંને વિકેટકીપરમાંથી કોણ શ્રેષ્ઠ છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેંડ સામે રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં પંતે પોતાની બેટિંગ દ્વારા પ્રભાવિત કર્યા હતા. અંતિમ ટેસ્ટ મેચમાં પંતે પોતાના ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની રાજકોટ ટેસ્ટમાં પણ ૯૨ રનની ઇનિંગ્સ રમી હતી.