જમ્મુ,
પાકિસ્તાનમાં નવી સરકારના ગઠન બાદથી જ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ બનેલી છે. એક બાજુ જ્યાં પાકિસ્તાન તરફથી સતત આતંકીઓ ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીબાજુ નિયંત્રણ રેખા સાથે સંકળાયેલ કાશ્મીરના કેટલાક વિસ્તારમાં પાકિસ્તાન રેંજર્સ દ્વારા ફાયરીંગ કરવામાં આવી રહ્યુ છે.
છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન રેંજર્સ દ્વારા એલઓસી નજીક ભારતીય વિસ્તારમાં આતંકીઓને ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન રેંજર્સ ફાયરીંગની આડમાં આ આતંકીઓની ઘુસણખોરી કરાવી રહ્યા છે. જાકે, ભારતીય સેના પણ આ ફાયરીંગનો વળતો જવાબ આપી આતંકીઓની ઘુસણખોરી રોકવામાં સફળ રહેતા પાકિસ્તાન દ્વારા એલઓસી પર સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન તરફથી ભારતના બારામુલ્લા અને કમલકોટ વિસ્તારમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સુત્રોનું કહેવુ છે કે, પાકિસ્તાને આ વિસ્તારમાં ભારે શસ્ત્રો સાથે લાંબા સમય સુધી ફાયરીંગ કર્યુ હતું. તેમજ કેટલાક મોર્ટાર પણ છોડ્યા હતા. જેને લઈ આ વિસ્તારમાં તણાવ જાવા મળ્યો હતો.પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ફાયરીંગ બાદ ભારતીય સેનાના જવાનોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના ફાયરીંગની સામે સતત ફાયરીંગ કરી તેમને જવાબ આપ્યો.
મહત્વનુ છે કે, બે દિવસ પહેલા જ પાકિસ્તાને ભારતના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ફાયરીંગ કર્યુ હતું. તેમજ થોડા દિવસ અગાઉ ભારતીય સેનાના જવાનોએ બે પાકિસ્તાન રેંજર્સને પણ ઠાર કર્યા હતા. સ્વતંત્રતા દિવસે પણ પાકિસ્તાને ફાયરિંગ કરતા, ભારતના જવાનોએ જવાબી ફાયરિંગમાં બે પાકિસ્તાની જવાનોને ઠાર કર્યા હતા.