ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગુરુદ્વારાની સામે રાખડી વેચતી એક કિશોરીને કથિત રૂપે માર્યા પછી ઉપદ્રવ થઇ ગયો હતો. આ મામલે 300 થી વધારે લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ નિયંત્રણમાં છે. હાલતને ધ્યાનમાં રાખતા મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે ડીએમ, એસપી, એસપી ગ્રામીણ, એસડીએમ સહીત કેટલાક સીઓ, બે કંપની પીએસી, આરપીએફ અને રેપિડ એક્શન ફોર્સની એક કંપની તૈનાત છે. મામલાની ગંભીરતાને જોતા દંગા નિયંત્રણ વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે ઘણા ઉપદ્રવીઓ ને હિરાસતમાં લઇ લીધા છે. ડીએમ અને એસપીએ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરીને લોકોને શાંતિ બનાવી રાખવાના નિર્દેશ આપ્યા છે.
અપર પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સુભાષ ચંદ્ર શાક્યએ જણાવ્યું કે શનિવારે બંડા સ્થિત ગુરુદ્વારા સામે ગેટ પર પ્રિયંકા (14) નામની કિશોરી રાખડી વેચી રહી હતી. ચોકીદારે આ છોકરીને ત્યાંથી જવાનું કહેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. ઉપરાંત ચોકીદારે પ્રિયંકાને ડંડો મારતા પગમાં વાગ્યું હતું.
એમણે જણાવ્યું કે જયારે આ વાતની ખબર છોકરીના પરિજનોની પડી, તો એમણે લોકો સાથે ધર્મસ્થળનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ બંને બાજુથી પથ્થરમારો શરુ થયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ઉપદ્રવીઓએ એમને પણ ખદેડી દીધા હતા. અને પથ્થરમારો ચાલુ રહ્યો હતો.
આ દરમિયાન જિલ્લાધિકારી અમૃત ત્રિપાઠી અને પોલીસ અધિક્ષક એસ ચિનપ્પા મોટી સંખ્યામાં પોલીસ દળ લઈને પહોંચ્યા પરંતુ સ્થિતિ શાંત થઇ નહતી. આ દરમિયાન રબર ગોળી તથા અશ્રુ ગેસ છોડવામાં આવ્યો, પરંતુ ઉપદ્રવીઓ થોભી થોભીને પથ્થરમારો કરતા રહ્યા. જયારે ઉપદ્રવીઓ શાંત ના થયા, તો પોલીસે એમના પર લાઠીચાર્જ કર્યો અને હાલત પર કાબુ મેળવ્યો.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ મામલે બંને તરફના 300થી વધારે લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચે શાંતિ કાયમ કરવા માટે જિલ્લાધિકારી અમૃત ત્રિપાઠીએ બેઠક બોલાવી છે.