વડોદરા,
ગણેશ ચતુર્થી ની શરૂઆત થઇ છે, ત્યારે આ વખતે વિઘ્નહર્તાની મહાકાય મુર્તિઓના દર્શનનો લાભ શ્રધ્ધાળુઓને મળશે. વડોદરામાં આરસના એક જ પથ્થરમાંથી તૈયાર કરાયેલી 28 ટન વજનની રાજ્યની સૌથી વિરાટ બડાગણેશજીની મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.
ગણેશ ચતુર્થી ના પાવન પ્રસંગે વડોદરાના ખ્યાતનામ સૂરસાગરની મધ્યે સર્વેશ્વર મહાદેવની 111 ફુટની પ્રતિમાને પણ સુવર્ણ ઓપ આપવામાં આવશે. સાથે જ ગણેશ ચતુર્થી ના પવિત્ર પર્વે બડાગણેશજીની મુર્તિ સાથે કલાત્મક મંદિરનું લોકાર્પણ કરાશે.આ મંદિરના લોકાર્પણની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી શાસ્ત્રોક્ત વિધી સાથે ત્રિ-દિવસીય ગણેશયાગનો પ્રારંભ કરાવશે.
ગણેશજીની 28 ટનની મુર્તિનો આરસનો પથ્થર મેળવવા માટે વર્ષોની જહેમત થઇ છે. રાજસ્થાનની એક ખાણમાંથી પ્રતિમા માટેનો આ પથ્થર મળી આવ્યો હતો,જેમાંથી નયનરમ્ય મુર્તિ કંડારવામાં આવી છે.
આ અંગે ધારાસભ્ય યોગેશ પટેલ કહે છે કે જ્યાં હઠયોગીઓ અઘોરીઓનો વાસ હતો. તે જાગનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગણેશજીના મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ અલગારી-અલૌકિક સંત સાવલીવાલા સ્વામીજીએ લેવડાવ્યો હતો. જાગનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર સાથે શ્રીજીની મૂર્તિની સ્થાપનાની શરૃઆત કરાઈ હતી.
જાગનાથ મહાદેવ મંદિરનો જિર્ણોધ્ધાર પૂર્ણ કરાયા બાદ માત્ર એક જ વર્ષમાં બડાગણેશજીનું મંદિરનું નિર્માણ થતા ગણેશ ચતુર્થી એ લોકાર્પણ કરાશે.