ગાંધીનગર જિલ્લાના માણસાના વતની ભાવેશ હસમુખભાઈ પટેલની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અમ્પાયર પેનલમાં પસંદગી થઈ છે, જે ગુજરાત માટે ગૌરવ સમાન છે.
ભાવેશ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું છે કે, વર્ષ 1991માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાતના અમીષ સાહેબાની પસંદગી થઈ હતી. ત્યારબાદ 27 વર્ષ પછી એક માત્ર ગુજરાતી તરીકે તેઓએ અમ્પાયર તરીકેની પરીક્ષા પાસ કરી છે. ચાર વિભાગમાં યોજાયેલ આ પરીક્ષામાં 3 લેખિત અને એક મૌખિક ઈન્ટરવ્યુ યોજાય છે જેમાં 90 ટકા ગુણાંકથી પાસિંગ થવાય છે જેમાં દેશભરમાંથી 750 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને 18 ઉમેદવારો પસંદ કરાયા છે તેમાં તેમની પસંદગી થઈ છે.
પટેલે રાજય સરકારના નાણાં વિભાગમાં આસિસ્ટન્ટ એક્ઝામિનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે છેલ્લાં પાંચેક વર્ષથી સંકળાયેલા છે. જી.સી.એ. દ્વારા આયોજીત વિવિધ મેચમાં અમ્પાયરીંગની સેવાઓ આપી છે. તેમની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થતા આગામી 2જી નવેમ્બર-2018થી અંડર-16ની ત્રિપુરા અને બંગાળ વચ્ચે યોજાનાર મેચથી આંતરરાષ્ટ્રીયકક્ષાએ અમ્પાયરીંગની કારકીર્દી શરૂ કરશે.
પટેલે ઉમેર્યું કે, ક્રિકેટ એસોસિએશન ખાતે અમ્પાયર એકેડમી શરૂઆત વર્ષ-2011થી થઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ આયોજનના પરિણામે શરૂ થઈ હતી. ગુજરાત દેશભરમાં અમ્પાયર એકેડમી શરૂ કરનારું એકમાત્ર રાજય છે. જેના ડિરેકટર તરીકે અમીષ સાહેબાની નિમણૂંક થઈ હતી તેમના માર્ગદર્શનને પરિણામે આજે મારી પેનલમાં પસંદગી થઈ છે તેનો તમામ શ્રેય જી.સી.એ.નો આભારી છે. પટેલે તેમને રાષ્ટ્રીય સ્તરે પસંદગી થતા તમામનો હદયપૂર્વક આભાર માન્યો છે.