નવી દિલ્હી,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ બહુજન સમાજવાદી પાર્ટી (BSP) અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે ઉત્તરપ્રદેશમાં થયેલા ગઠબંધન અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની એક પ્રતિક્રિયા સામે આવી છે.
રાહુલ ગાંધીએ સંકેતો આપતા કહ્યું, “યુપીમાં ગઠબંધન ન થયા બાદ કોંગ્રેસ એકલા પણ ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસને કમજોર જ સમજવી જોઈએ”.
પીએમ મોદીને હરાવવું એ પહેલું ટાર્ગેટ
તેઓએ વધુમાં કહ્યું, “અમારો પહેલો ટાર્ગેટ નરેંન્દ્ર મોદીને હરાવવાનો છે. એવા ઘણા રાજ્યો છે, જ્યાં અમે મજબૂત છીએ. જે રાજ્યોમાં અમે મુખ્ય પાર્ટી છે અને ભાજપ સામે અમારો સીધો જ મુકાબલો છે. જયારે બીજા પણ એવા રાજ્યો છે ત્યાં ગઠબંધન થઇ શકે છે – જેવા કે મહારાષ્ટ્ર, ઝારખંડ, તમિલનાડુ, બિહારમાં અમે ગઠબંધન પર કામ કરી રહ્યા છે”.
લોકસભાની ૮૦ સીટો અંગે સધાઈ હતી સહમતી
અત્રે ઉલ્લેખનીય છે કે, માયાવતી અને અખિલેશ યાદવ વચ્ચે યુપીની ૮૦ લોકસભા સીટો અંગે સહમતી સધાઈ છે અને આ સીટોને લઈ એક ફોર્મુલા તૈયાર કરાયો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી ૩૫ અને બહુજન સમાજવાદી પાર્ટી ૩૬ સીટો પર ચૂંટણી લડશે.
જયારે ૩ સીટો અજિત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળને આપવા તેમજ ૪ સીટો રિઝર્વ રાખવામાં આવી છે. બીજી બાજુ અમેઠી અને રાયબરેલીની લોકસભા સીટ પર આ ગઠબંધન દ્વારા કોઈ ઉમેદવારને ન ઉતારવાનો નિર્ણય કરાયો છે.