પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું હાનિકારક છે તે હવે સૌ કોઈને ખબર છે પરંતુ તેનો વપરાશ કરવાનો લોકોએ ચાલુ રાખ્યો છે.ધાનેરાની જ વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી અહીં પ્લાસ્ટીકનો વપરાશ એટલો વધી ગયો હતો કે પાલિકાના ઓફિસરોએ તેને હટાવવા રીતસરની ડ્રાઇવ કરવી પડી હતી.
ધાનેરા પાલિકાએ વેપારીઓ પાસેથી 150 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.ધાનેરામાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હતા જેના કારણે ગંદકી તો થતી હતી સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થતું હતું.
ધાનેરામાં જ્યાં ત્યાં પ્લાસ્ટિકના ઢગલાઓ જોવા મળતા હતા જેથી પાલિકાના ચીફ ઓફિસરે ધાનેરાને પ્લાસ્ટીક મુક્ત ધાનેરા બનાવવાનૂ અભિયાન હાથ ધરતાં પ્રથમ દિવસે 150 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો.
સરકારની અવાર નવાર પ્લાસ્ટીક મુક્ત શહેર બનાવવા માટે પાલિકાઓને સુચનો કરવામાં આવી રહ્યા છે.જો કે તેમ છતાં આ બાબતે પાલિકાઓ દ્વારા રહેમનજર રાખવામાં આવતી હોવાના કારણે આ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ધાનેરામાં ઉપયોગ થતો હતો.
ધાનેરામાં તાજેતરમાં આવેલ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.એમ.અન્સારીએ ધાનેરાને સ્વચ્છ ધાનેરા અને પ્લાસ્ટીક મુક્ત ધાનેરા બનાવવા માટે પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક કરીને મંગળવારે પ્રતિબંધિત પ્લાટીક બાબતે સ્પે. ટીમ બનાવી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ દુકાનદારો પાસેથી દંડ પેટે 41000 વસુલ કરવામાં આવ્યા હતા.
આ અંગે પાલિકાના કે.એસ.બારોટે જણાવ્યુ હતુ કે ધાનેરામાં પ્રતિબંધિત પ્લાસ્ટીક રાખનાર લોકો ની સામે પ્રથમ દિવસે દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જો બીજી વખત ઝડપાશે તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવેલ કે ધાનેરાના તમામ વેપારીઓ પણ ધાનેરાને પ્લાસ્ટિક મુક્ત ધાનેરા સ્વચ્છ ધાનેરા બનાવવામાં સહકાર આપે તે જરુરી છે..