વડોદરા સુગરમાં શેરડીના બાકી નીકળતા નાણાં બાબતે કંબોલા ગામના ખેડૂતે કરજણ જનસેવા કેન્દ્રની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે અટકાયત કરી હતી.
છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમળમાં ચકરાવે ચડેલી વડોદરાની ગંધારા સુગર પુનઃ એકવાર ચર્ચાના એરણે ચડી છે. સમયાંતરે શેરડીના નાણાં બાબતે ગંધારા સુગરના સભાસદો દ્વારા પ્રતિક ઉપવાસ તેમજ કરજણના પ્રા઼ંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યા છતાં આજદિન સુધી કોઇ નિરાકરણ ન આવતા ગુરુવારના રોજ કંબોલા ગામના આશિષ ભટ્ટ નામના ખેડૂતે કરજણ જનસેવા કેન્દ્રના ઝાંપાની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે નિષ્ફળ બનાવી ખેડૂતની અટકાયત કરી હતી. આશિષ ભટ્ટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ત્યારે મોટી સંખ્યામાં જનસેવા કેન્દ્રની બહાર એકત્ર થયેલા ખેડૂતોએ હાય રે સતિષ નિશળીયા હાય હાયના ગગનભેદી સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સુગરના વર્ષ ૨૦૧૮ – ૧૯ ની શેરડી પીલાણના બાકી નીકળતા ૨૩ કરોડ જેટલા રૂપિયાની માંગ સાથે સુગર સામે ખેડૂતોએ બાંયો ચડાવી છે. એક વર્ષ જેટલો સમય વીતવા છતાં ખેડૂતોને શેરડીના નાણાં ન મળ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. નાણાં બાબતે વારંવાર રજુઆતો અને ઉપવાસ આંદોલન કરવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આશિષ ભટ્ટ નામના ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર મુદ્દો પુનઃ ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. સાવચેતીના પગલારૂપે જનસેવા કેન્દ્રની બહાર પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.