અમરેલી,
વાયુ સાઇક્લોન ગુજરાત પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે રાજ્યમાં બચાવ કામગીરીમાં અનેક ટીમો જોતરાઇ છે અને લોકોને બચાવી રહી છે.અમરેલીમાં એનડીઆરએફના જવાનોએ એક ગર્ભવતી મહિલા અને બાળકને નવી જીંદગી આપી એનડીઆરએફના જવાનોએ ઉછળતા દરિયા વચ્ચે આવેલા બેટ પરથી ગર્ભવતી મહિલાને બચાવી હતી અને તેને તથા નવજાત શિશુને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
અમરેલીના જાફરાબાદ નજીકના દરિયામાં આવેલા શિયાળ બેટમાં એક મહિલાનો પ્રસુતિનો સમય થયો હતો.બીજી તરફ વાયુ વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો હતો.શિયાલ બેટ ગામ એ દરિયાની વચ્ચે આવેલો નાનો સરખો બેટ છે.આ બેટ પર 7 મહિનાના ગર્ભ ધરાવતી ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી.મહિલાના પરિવારજનોએ ઇમરજન્સી સર્વિસ 108ને જાણ કરી હતી પરંતું દરિયાની અંદર જવા માટે બીજુ કોઇ સાધન નહીં હોવાથી એનડીઆરએફની ટીમની મદદ લેવાઇ હતી.
એનડીઆરએફની ટીમ સમયસર શિયાલબેટ પહોંચી હતી અને અહીના મેડીકલ સેન્ટરમાંથી મહિલાને રેસક્યુ કરવામાં આવી હતી.મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.હોસ્પિટલમાં મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો.
એનડીઆરએફના પીઆરઓ આર કે મિશ્રાના જણાવ્યા પ્રમાણે અમારી ટીમે ટાપુ પરથી એક ગર્ભવતી મહિલા અને તેના બાળકની જાન બચાવી,આ એક યાદગાર અનુભવ હતો.બાળકનો જન્મ થયો ત્યારે અમારી બધાની આંખમાં આંસુ હતા.
ગર્ભવતી મહિલાને રેસક્યુ કરવા અંગેના ફોટા અને વિગતો અમરેલી કલેક્ટર આયુષ કુમારે તેમના ટ્વીટર પર શેર કર્યો હતો.