અતિભારે વરસાદને કારણે દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં ખરીફ પાકને મોટા પાયે નુકસાન થયું છે. તેમાયે ખાસ કરીને ડુંગળીનું ઉત્પાદન કરતાં રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં મોટાપાયે પાકનું ધોવાણ થયી ચુક્યું છે. જેને કારણે ડુંગળીની કિંમતો વધીને રિટેલમાં પ્રતિ કિલોગ્રામ 75-80 થઇ જતાં સરકારે એકાએક સ્ટોક લિમિટ લાગુ કરી દીધી છે, જેમાં જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટન અને રિટેલર્સ 2 ટનનો સ્ટોક રાખી શકશે. તાજેતરમાં સરકારે કૃષિ બિલ રજૂ કર્યું, એમાં બટાકા અને ડુંગળી પરથી સ્ટોક લિમિટ દૂર કરી હતી, પરંતુ ભાવ રોકેટગતિએ વધતાં એકાએક સ્ટોક લિમિટ લાગુ કરી દેવાઇ છે.
કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલયે જણાવ્યું હતું કે વધુપડતો સંગ્રહ કરનારા સ્ટોકિસ્ટો પર આકરાં પગલાં લેવાશે. સ્ટોક લિમિટનો અમલ 31 ડિસેમ્બર સુધી રહેશે. દેશમાં ખરીફ ડુંગળીનો પાક સરેરાશ 45-50 લાખ ટન આસપાસ રહે છે, જે આ વર્ષે માત્ર 20-25 લાખ ટન આસપાસ જ રહેશે તેવું અનુમાન છે. મુખ્ય મથક કર્ણાટક, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં આવકો નહીંવત્ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાર્ષિક ધોરણે ડુંગળીનું ઉત્પાદન સરેરાશ 8 લાખ ટન આસપાસ રહે છે, પરંતુ ખરીફ પાક નિષ્ફળ જતાં ઉત્પાદન 2.5-3 લાખ ટન આસપાસ જ રહી જશે. મણદીઠ ભાવ વધી રૂ.1050થી 1250 બોલાઇ રહ્યા છે, જે આગામી સમયમાં વધી 2000 સુધી પહોંચી શકે છે. રિટેલમાં ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.100-125 પહોંચી શકે છે.