ગુજરાતના રાજકોટની કોવિડ -19 હોસ્પિટલના આઈસીયુમાં શુક્રવારે વહેલી સવારે લાગેલી આગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દર્દીઓનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ આને કમનસીબ ઘટના ગણાવી દુખ વ્યકત કર્યું છે. તો ઇજાગ્રસ્તોની ઝડપથી સાજા થઇ જય તેવી પણ પ્રાર્થના કરી છે. અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ કરવા તંત્રને પણ તાકીદ કરી છે.
આપને જણાવી દઈએ કે, રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. કોવિડ વોર્ડમાં 33 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. હોસ્પિટલમાં આગ લાગવાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.
આગની આ કરૂણ ઘટનામાં મોતને ભેટેલા રસિકલાલ અગ્રાવતે એક લાખ, રામશીભાઇએ એક લાખ અને કેશુભાઇ અકબરીએ પણ એક લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી હોવાનો ઉલ્લેખ છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોના સામે જિંદગીનો જંગ જીતવા માટે લાખો રૂપિયાનો ખર્ચ ભલે થાય પણ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો.