@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ઝીંઝુવાડા રણમાં આવેલા ગાયોની રક્ષા કાજે બલીદાન આપનારા વિર વચ્છરાજ સોલંકીની ઐતિહાસિક જગ્યામાં જોરદાર વરસાદ ખાબકતા સેંકડો શ્રદ્ધાળુઓ વાહનો સાથે રણમાં ફસાયા હતા. ઝીંઝુવાડા રણમાં આવેલા વચ્છરાજ બેટથી 10થી 15 કિલોમીટરનાં અંતરે શ્રદ્ધાળુઓનાં વાહનો વરસાદનાં કારણે રણમાં ફસાઇ જતા થોડા સમય માટે દર્શનાર્થીઓ પોતાના પરિવારજનો સાથે રણમાં ફસાઇને અટવાયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં વચ્છરાજ સ્થાનકનાં સ્વયંસેવકો અને વાગડનાં યુવાનોએ સ્થળ પર પહોંચીને શ્રદ્ધાળુઓને ટ્રેક્ટરો વડે સલામત રીતે બહાર કાઢ્યા હતા.
કેનાલમાં ડુબ્યા: સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાનાં ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે બાળકો ડુબ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર કચ્છનાં નાના રણમાં ઝીંઝુવાડા રણમાં આવેલા વચ્છરાજ દાદાનાં સ્થાનકે શ્રદ્ધાળુઓ સમયાંતરે માથું ટેકવવા આવતા હોય છે. રવિવારે જાહેર રજા હોવાથી સુરત, રાજકોટ, વિરમગામ, કચ્છ અને ગાંધીનગરમાંથી સેંકડો શ્રદ્ધાળુઓ પોતાના વાહનો સાથે પરિવારજનોને લઇને રણમાં વાછડાદાદાનાં દર્શને આવ્યા હતા. જેમાં રણમાં અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થતાં શ્રદ્ધાળુઓ પોતાના વાહનોમાં પોતાના વતન પરત ફરવા રવાના થયા હતા, પરંતુ વેરાન રણમાં અચાનક મુશળધાર વરસાદ ખાબકતા વચ્છરાજ બેટથી 10-15 કિલોમીટર પાટડી-ધ્રાંગધ્રા બાજુનાં રણનાં રસ્તે કાદવ-કીચડ થઇ જતા એમના વાહનો ફસાઇ ગયા હતા. જેના કારણે અફાટ રણમાં આ શ્રદ્ધાળુઓ સંપર્ક વિહોણા અને વિખુટા પડ્યાં હતા. જેમાં રણમાં મોબાઇલ પર નેટવર્કનાં અભાવે એમની હાલત અત્યંત કફોડી બનવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનિક વચ્છરાજબેટનાં સંચાલકો, ધ્રાંગધ્રા, આડેસર અને પલાંસવાનાં આજુબાજુનાં સેવાભાવી યુવાનોને ફોન દ્વારા થતાં તેઓ તાત્કાલિક અસરથી ટ્રેક્ટરો સાથે રણમાં ફસાયેલા શ્રધ્ધાળુઓની વહારે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ ટ્રેક્ટરોને રસ્સા બાંધીને રણમાં ફસાયેલા વાહનોને રોડ ઉપર મુખ્ય માર્ગ સુધી લઇ જવામાં આવ્યા હતા. જેમાં વિરમગામ અને રાજકોટનાં વાહનોને પાટડી અને ધ્રાંગધ્રાનાં રસ્તે મોકલવામાં આવ્યા હતા. જ્યારે સુરત અને ગાંધીનગરનાં પ્રવાસીઓને નજીક આવેલા વચ્છરાજબેટ ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યારે વાગડ કચ્છનાં દર્શનાર્થીઓને પલાંસવા બાજુનાં રસ્તે સહી સલામત પહોંચાડવામાં આવ્યાં હતા.
ઈ-લોકાર્પણ: રાજકોટમાં કરોડોના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ,લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં ગુજરાત અગ્રીમ : CM રૂપાણી
રણમાં આ બચાવ કામગીરી મોડી રાત સુધી અવિરત ચાલુ રહી હતી. જેમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી હતી કે, આ ઘટનાથી સમગ્ર સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણ જિલ્લાનું વહિવટી તંત્ર સાવ અજાણ રહ્યું હતુ અને કોઇ વહિવટી અધિકારીઓ કે કર્મચારીઓ આ બાબતથી વાકેફ ન હોતા. વચ્છરાજ બેટનાં સ્વયંસેવકો અને આજુબાજુનાં ગ્રામજનો તાત્કાલિક અસરથી મદદે દોડી આવતા એક મોટી ઘટના ટળી હતી. આ બાબતે ઝીંઝુવાડા રણનાં વચ્છરાજબેટનાં ટ્રસ્ટી લક્ષ્મણભાઇનો સંપર્ક કરાતા એમણે જણાવ્યું કે, રણમાં વાહનોમાં ફસાયેલા તમામ શ્રદ્ધાળુઓને સ્વયંસેવકો અને ટ્રસ્ટ દ્વારા હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે અને તમામને સહી સલામત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા હતા. તો કેટલાક શ્રદ્ધાળુઓને રણમાં રેસ્ક્યું કરીને અહીં વચ્છરાજ બેટ ખાતે રાખવામાં આવ્યા છે. જેઓ રણમાં રસ્તો ચાલુ થયા બાદ પોતાના માદરે વતન પરત ફરશે.