અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે એક્શનએઇડ સંસ્થા દ્વારા રૂ. ૩૦ લાખના ૪૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર અને કોવિડ કીટ રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે,’ સરકાર, સંસ્થા અને સમાજના સંયુક્ત સહયોગથી કોરોના સામે જીત મેળવવાની છે.
સામાજિક સંસ્થાઓ સાથે કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે પ્રજા સુખાકારી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સીએસઆર(કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી)નો કાયદો મહત્વપૂર્ણ રહ્યો છે. જેના પગલે આજે કોરોનાને હરાવવામાં સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ પણ પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે. ટૂંક સમયમાં જ આરોગ્યક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી પણ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ’અંજાર ખાતે રૂ. ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ પણ ટૂંક સમયમાં જ કાર્યરત થશે. વૈશ્વિક મહામારી કોરોનાનો સામનો કરી રહેલા લોકો માટે એક્શનએઈડ સંસ્થા દ્વારા અપાયેલા ઓક્સિજન કન્સનટ્રેટર અને કોવિડ કીટના સાધનો બહુ ઉપયોગી થશે. આ માટે રાજ્ય સરકાર વતી હું સંસ્થાનો આભાર માનું છું અને તેમના આ પ્રશંસનીય કાર્ય માટે અભિનંદન પણ આપું છું.
તાલુકા અગ્રણી ડેની શાહે આ પ્રસંગે અંજાર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલા આરોગ્યના વિવિધ વિકાસ કામો અંગે સૌને માહિતગાર કર્યા હતા. એક્શનએઈડ સંસ્થાના હંસાબેન રાઠોડે આ તકે એક્શન સંસ્થા વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે ,’એક્શનએઇડ એસોસિએશન સંસ્થા સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરે છે. એક્શનએઈડ અને ગીવ ઇન્ડીયાના સહયોગ થી ૪૦ ઓક્સીજન કન્સનટ્રેટર જેમાં પાંચ લીટરના ૨૦ અને દસ લીટરના ૨૦ છે.જે અંજાર, ભચાઉ, આદિપુર અને રાપર તાલુકાની સરકારી હોસ્પીટલમાં આપવામાં આવશે. ઉપરાંત ૩૫ થર્મલ સ્કેનર, ૩૫ ઓક્સીમીટર, ૨૦ થર્મોમીટર, ૫૦ એન ૯૫ માસ્ક, ૫૦૦ -ડિસ્પોઝેબલ માસ્ક, ૨૫ પીપીઈ કીટ્સ, ૫૦ ફેસ શીલ્ડ, ૩૦ આશાવર્કર બહેનોને આપવામાં આવ્યા છે. ૨૦ વર્ષથી વિવિધ ઇમર્જન્સી અને કોવિડ -૧૯ માટે કામ કરતી આ સંસ્થા પૂર્વ કચ્છના ૨૩ ગામોમાં જનજાગૃતિનું અને રસીકરણની કામગીરી કરી રહી છે. ગુજરાતના છ જિલ્લામાં એક્શનએઈડે ઓક્સિજન કન્સનટ્રેટર આપ્યા છે .
ઉલ્લેખનીય છે કે રૂ. ૭૫ લાખના ખર્ચે અહિ કાર્યરત થનાર ઓક્સિજન પ્લાન્ટની સ્થળ મુલાકાત રાજ્યમંત્રી એ લીધી હતી. ઉલ્લેખનીય છે કે અંજાર ખાતે કાર્યરત થનાર આ પ્લાન્ટમાં રૂ. ૩૫ લાખની ધારાસભ્ય અંજારની ગ્રાન્ટ, રૂ.૨૦ લાખ ટોરેન્ટ કંપની અને રૂ.૨૦ લાખ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા અપાયા છે. આમ કુલ રૂ.૭૫ લાખના ખર્ચે અંજાર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે જેનાથી ઓક્સિજન માટે અંજાર આત્મનિર્ભર બનશે. રાજ્યમંત્રીએ અંજારની કે. કે. એમ. એસ .ગર્લ્સ હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી હતી જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ અંજારના વેપારીઓ પરિવાર સાથે વેક્સિનેશન કરાવી રહ્યા હતા. રાજ્યમંત્રીએ ૧૮ થી વધુ માટેના બે અને ૪૫થી વધુ વય માટેનું એક અને બીજી રસીનો ડોઝનું એક એમ ચાર કાઉન્ટરની જાત મુલાકાત લીધી હતી.