UK જવા ઇચ્છતા હોય તેવા લોકોને ત્યાંની હાલની કોવિડ પરિસ્થિતિ અંગે માહિતગાર કરવા માટે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદનાં GCCI ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, હાલમાં આવેલા ધોરણ-12 નાં પરિણામ બાદ વિદેશ અભ્યાસ વાંછુંકની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારે પણ આવા લોકો માટે અલગથી વેકસીનેશનની વ્યવસ્થા કરી છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સી. બી. પટેલ, પબ્લીશર-એડિટર, ગુજરાત સમાચાર, અને એશિયન વોઇસ-યુકે, રોહિત વઢવાના, IFS ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમી ) હાઇ કમિશન ઓફ ઈન્ડિયા-લંડન, અને કાંતિભાઈ નાગડા, પ્રોમીનેન્ટ ગુજરાતી બ્રિટિશર, યુકે, ઓનલાઇન જોડાયાં હતા. જ્યારે આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં NRG સેન્ટર અમદાવાદનાં ચેરમેન દિગંત સોમપુરાએ મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમનાં અતિથિ વિષેશ સી બી પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બ્રિટેનમાં આશરે 20 લાખ જેટલા ભારતીઓ રહે છે. જેમાં 8 લાખ ગુજરાતીઓમાં 52% જેટલા આફ્રિકાથી માઈગ્રેટ થયેલા છે.
કોરોના કાળમાં બ્રિટેનમાં રહેતા લોકોએ ઘણું સહન કરવું પડ્યું છે. પરંતુ ખમીરવંતી ગુજરાતી જનતાએ આફતને અવસરમાં ફેરવી નાખી છે. આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ છતાંય પોતાની નોકરી અને વ્યવસાયને સહજતાથી ટકાવી રાખી છે. જ્યારે આ પ્રસંગે નટુભાઇ પટેલ અને કમિટીનાં સભ્યોએ જણાવ્યું હતું કે, બ્રિટેનમાં મોટા પાયે વેકસીનેશન થઇ ગયું છે. વિધાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટેની ઘણી તકો ઉપલબ્ધ છે. તથા યુનિવર્સિટી દ્વારા કાઉન્સેલિંગ સેલ ચાલુ કરવામાં આવ્યું છે. અગાઉ ના થયાં હોય તેવા સારા કામો બંને દેશો વચ્ચે થયેલા છે. ભારત અને બ્રિટેનનાં વડાપ્રધાને વર્ચ્યુઅલ સમિટમાં ઇન્ફોર્મેશન અને સ્ટાર્ટ અપ અંગે કરાર થયેલા છે તે અંગે પણ માહિતી આપી હતી.
તો આ પ્રસંગે બ્રિટનમાં રહેતા ક્રિષ્ના પૂજારાએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ગેરકાયદેસર વસતા લોકોને પણ કોઈ પણ પ્રશ્નો પૂછ્યા વગર વેકસીનેશન કરવામાં આવ્યું છે. કોવિડ અને બ્રેકઝિટ બાદ બ્રિટેનમાં કોઈ સમસ્યા નથી. એક અહેવાલ મુજબ 2019 માં ભારતની 840 કંપનીઓ કાર્યરત હતી જેને ત્યાં 1,05,000 નોકરીઓનું ઉપાર્જન કર્યું હતું. અને 2020 માં કોવિડ ના ગંભીર સંજોગોમાં પણ 850 કંપનીઓ નોંધાઈ છે. જેના થકી 1010 નોકરીઓનું ઉપાર્જન કરવામાં આવ્યું છે. આ વેબિનારમાં મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો.