મનન : ભાવિની વસાણી@મંતવ્ય ન્યૂઝ
સમગ્ર વિશ્વના લોકો માટે વર્તમાનના કોરોના મહમારીના કાળ અને લોકડાઉન વિવિધ તબક્કાઓ બાદ અનલોક જેવી પરિસ્થિતિઓ વચ્ચે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી બન્યું હતું. છેલ્લા દોઢ-બે વર્ષથી ઇન્ટરનેટ સૌથી મહત્વની શોધ સાબિત થઇ રહી છે. માનવજાતિ માટે ઈન્ટરનેટની શોધ વરદાન સાબિત થઇ રહી છે. આ સમયગાળામાં જો ફોન અને ઇન્ટરનેટ ના હોત તો લોકો એકબીજાથી ક્યારે પણ કનેક્ટ થઈ શકત નહીં. જુદી જુદી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશન થી માંડી ધંધા,વ્યવસાય કે ઉદ્યોગમાં પણ ઇન્ટરનેટ દ્વારા દુનિયા ધબકી રહી છે. કોઈપણ સાધનનો અતિરેક નુકસાનદાયક નીવડે છે. તો ખરેખર શું કરવું જોઈએ ?
વિવિધ સોશિયલ મીડિયાની સાઈટના ઉપયોગ અલગ અલગ રીતે થઈ રહ્યા છે, જેણે દુનિયાને ખૂબ જ નાનકડી બનાવી દીધી છે, અને લોકોની વચ્ચેના સામાજિક અંતરને જાળવીને સંપર્ક ટકાવી રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. સોશિયલ મીડિયાની સાઇટની સાથે જોડાઇને સૌથી વધારે આ કાળમાં લોકોએ કોમ્યુનિકેશન કર્યું છે. જેથી દુરી છતાં લોકોએ એકબીજાની સાથે જોડાઈને ઘણું બધું શીખવાનું શરૂ કર્યું છે. આપણે આપણી સંસ્કૃતિ વિશે, ભાષા વિશે, કળા વિષે ભૂતકાળમાં શીખ્યા નહોતા તેટલું આ કાળમાં શીખ્યા છીએ. પરંતુ આપણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી એટલા બધા આધારિત થઈને જીવવા લાગ્યા છીએ કે તેની આપણને લત પડી ગઈ છે. નાના બાળકથી લઈને અને યુવાનો તેમજ મોટી ઉંમરના વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહી શક્યા છે પરંતુ તેની આડઅસર રૂપે લત પણ લાગી રહી છે ત્યારે હવે છુટા કેમ પડવું ? તે એક મોટો પડકાર છે. તેમજ આડઅસર રૂપે કેટલીક અન્ય સમસ્યા પણ ઊભી થાય છે.
સૌપ્રથમ તો દરેક વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તેને ઓનલાઈન માધ્યમોનું વ્યસન થઈ ગયું છે. તાજેતરમાં આ વિષય પર થયેલા એક અધ્યયનમાં સૂચન કરવામાં આવ્યું છે કે જે લોકોને ઓનલાઇન માધ્યમોનું વ્યસન થઈ ગયું છે, તેવા લોકોના હૃદયના ધબકારાની ગતિ પર અસર પડે છે જેના કારણે હાઇ બ્લડપ્રેશર પણ થઈ શકે છે. એવામાં જ્યારે ઉપયોગ કરવાની જરૂર લાગે ત્યારે સૌ પ્રથમ તેના પર નિયંત્રણ કરવા માટે ઓનલાઇનના અડધો સમય ઓફલાઈનનો ઉપયોગ વધારવો જોઈએ. ઓનલાઇન માધ્યમની લત લાગી જવાથી હોર્મોન ઈમબેલેન્સ થઈ જાય છે. જેના કારણે વ્યક્તિના તનાવમાં વધારો થાય છે. આવા વ્યક્તિઓ આગળ જતા ચિંતિત તેમજ ઉદાસ રહેવા લાગે છે.અને બેચેનીનો અનુભવ થાય છે તથા સામૂહિક પ્રવૃતિમાં જોડાવવાનો તેનો રસ ઘટતો જાય છે.
સોશિયલ મીડિયાની લત લાગવાના દેખીતાકારણો
* સોશિયલ મીડિયાએ લોકોને સૌથી ઝડપથી સામાજિક દુરી જાળવવાની સાથે લોકોને એકલાં પડવા દીધા નથી.
* સોશિયલ મીડિયાની લત લાગવાના મુખ્ય કારણમાં વર્તમાન જીવન શૈલી મુજબ લોકો કંઈ પણ પોસ્ટ કરે છે, તો તેનો ત્વરિત અને બહોળા પ્રમાણમાં રીપ્લાય મળે છે. અને કંઈક સર્જન કરી અને વ્યક્ત કરવાથી સારા રસાયણો શરીર માંથી બહાર નીકળે છે. જેના દ્વારા હુંફની અનુભૂતિ થાય છે.
* દર વખતે જ્યારે પણ લોકો પોતાના સર્જનની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકે છે. તેના દ્વારા મળતી સ્વીકૃતિની ભાવના લોકોને સારી અનુભૂતિ કરાવે છે. જેથી તેનું પુનરાવર્તન કરવા માટે પ્રેરાય છે.
* સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટને અન્યલોકો દ્વારા જ્યારે બહોળા પ્રમાણમાં લાઈક મળે છે, ત્યારે જે તે વ્યક્તિ પોતાના કરતા બીજા વધારે નિર્ભર રહે છે અને એવું વિચારવા લાગે છે કે લોકો તેના વિશે શું વિચારી રહ્યા છે?
* વર્તમાન સમયમાં કોરોનાકાળમાં ઘણા બધા લોકો આત્મવિશ્વાસ ગુમાવી ચૂકયા છે ત્યારે તેઓને દુનિયા તેમના વિશે શું વિચારે છે તે જાણવા માટેની સરળતાથી લત લાગી જાય છે. કારણ કે તેઓ હંમેશા બીજાના વિચારો પર પોતાની ખુશીને આધારિત બનાવી દેતા હોય છે.
* ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે તે પ્રકારની અભિવ્યક્તિ કરી અને લોકો સરળતાથી રવાડે ચઢી જતા હોય છે, કારણ કે સામેવાળી વ્યક્તિ સાથે વાત કર્યા વિના તે બોલ્યા વિના જ તેમને અભિવ્યક્ત થવાનો મોટો મોકો મળે છે.
* સામાજિક માન્યતા મળતી હોય લોકોને લોકપ્રિયતાનો નશો ચડે છે.
ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આડઅસર
* કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ થવાથી તે વખતે લોકોની ભાવનામાં ગરબડ આવે છે અને તેના કારણે વ્યક્તિ પોતાની ચેતના ગુમાવી બેસે છે.
* એક જ અવસ્થામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામે એકધારું બેસવાથી શરીરના કેટલાક ભાગો જકડાઇ જાય છે તેમ જ મન સુન્ન થઈ જાય છે.
* લેપટોપ કે મોબાઇલની સ્ક્રીન માંથી બહાર નીકળતી બ્લુ લાઈટ આંખોને નુકસાન પહોંચાડી શકે છે આ ઉપરાંત શરીરના અન્ય ભાગોને પણ નુકસાન થાય છે.
* એક ધારુ લેપટોપ, કમ્પ્યુટર કે મોબાઈલની સામે બેસવાના કારણે અનિંદ્રા, દૃષ્ટિમાં ઝાંખપ તેમજ વિવિધ પ્રકારના માથાના દુખાવા થાય છે.
* જ્યારે ઓનલાઇન કાર્યપદ્ધતિથી કાર્ય કરવામાં આવતું હોય ત્યારે યોગ્ય કનેક્શન ન થાય ત્યારે વ્યગ્રતા કે બેચેનીનો અનુભવ થવો એ સામાન્ય બાબત છે. તેમજ રોજિંદા પાસવર્ડ તેમજ અન્ય અપડેટ થી પરિચિત થવું પડે છે જેના કારણે તણાવનો અનુભવ થાય છે.
* વર્તમાનના અનિવાર્ય સંજોગો પ્રમાણે લોકો ઈચ્છાએ કે અનિચ્છાએ આ રીતે સમૂહ સાથે જોડાતા હોય છે. લાંબો સમય આ પ્રક્રિયા ચાલુ રહે છે ત્યારે લોકો વાસ્તવિક કરતા વર્ચ્યુઅલ દુનિયા પર વધારે આધારિત રહેવા લાગે છે. તેમજ એકલા રહેવાનું પસંદ કરે છે.
લતમાંથી છુટવાનો ઉપચાર
નાના બાળકથી લઈને મોટેરાઓ સુધી તમામ લોકોને અત્યારે સરળતાથી સોશિયલ મીડિયા અને ફોનનો ઉપયોગ કરવા માટેની લત લાગી રહી છે. કારણ કે વર્તમાન સમયમાં તેનો અન્ય વિકલ્પ શોધાયો નથી. આ લત માંથી છૂટવા માટે નીચેના પગલાંઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
* મનોચિકિત્સક કે કાઉન્સેલરની સલાહ લઈ અને કાઉન્સેલિંગ કરવું જોઈએ.
* ઈન્ટરનેટના ઉપયોગનો સમય અગાઉથી નિર્ધારિત હોય તો ભલે નહિતર તમે જાતે જ નિર્ધારિત કરી દો.
* રોજિંદા વધી રહેલા ઉપયોગના કારણે લત લાગી એ સામાન્ય છે પરંતુ તેને એકાએક રોકવું અઘરું તેમજ જોખમી સાબિત થઇ શકે છે.
* ઈન્ટરનેટની લતનો ઉપચાર આલ્કોહોલની જેમ શોધવામાં આવ્યો નથી કે કંઈ ખોરાક લઈ અને તે દૂર થઈ શકે છે.
* ઇન્ટરનેટની માયાજાળ થી બચવા માટે સોશિયલ મીડિયાનો સંયમ તેમજ વિવેકપૂર્વકનો ઉપયોગ કરવો તે એક રસ્તો છે.
* આ સિવાય મન સ્વસ્થ રહે તે પ્રકારનો ખોરાક ઉપયોગમાં લેવો જોઈએ.
* ઇન્ટરનેટ કે ઓનલાઈન માધ્યમોની લત માંથી છૂટવું હોય તો જીવનમૂલ્યોમાં વધારો કરે તેવા કાર્યો કરવા જોઈએ.
* જે તે સમયમાં ફરજિયાત પણે ઓનલાઇન થવું પડે ત્યારે તે સાધનનો ઉપયોગ કરવો પરંતુ જ્યારે ઓનલાઈન થવાની જરૂરિયાત ન હોય ત્યારે તેના સિવાયની પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને ઇન્ટરનેટ બંધ રાખવુ જોઈએ.
* ઇન્ટરનેટ સિવાયનો સમય પરિવારજનો કે મિત્રો સાથે વીતાવવો જોઇએ તેમજ પોતાના શોખ વિકસાવવા જોઇએ કે પછી સારા સંગીત કે પછી પઝલ્સનો ઉપયોગ કરવો જોઈએ.
* કંટાળો દૂર કરે તેવી સર્જનશીલ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહો પરંતુ માધ્યમો વિના.
* ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો ઉપયોગ ઓછો કરો કે જેથી તમારા શરીરમાં અન્ય કોઈ નુકસાન ન થાય તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો જેથી તમારૂ માનસિક સંતુલન જળવાઈ રહે.