પાકિસ્તાનના પ્રભાવમાં રહેલા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ ફરી એકવાર કાશ્મીર પર ઝેર ઓક્યું છે. ખાસ દૂત યુસેફ એલ્ડોબે કહ્યું છે કે OIC કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપવાનું ચાલુ રાખશે. એલ્ડોબે એમ પણ કહ્યું હતું કે તેઓ આગામી OIC મંત્રી સ્તરની બેઠક દરમિયાન આ ક્ષેત્રની સ્થિતિ અંગે અહેવાલ તૈયાર કરશે અને રજૂ કરશે. તેમણે રવિવારે પાકિસ્તાનમાં ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC) ના પ્રતિનિધિઓ સાથે કાશ્મીરની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી.
બીજી વખત પાકિસ્તાનની મુલાકાતે આવેલા OICના આ વિશેષ દૂતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની પણ મુલાકાત લીધી હતી. તેમણે આ પાકિસ્તાન તરફી અલગતાવાદી નેતાઓને સંબોઘીને કહ્યું કે OIC કાશ્મીર માટે સમર્થન આપવાનું ચાલુ રાખશે. OICના વિશેષ દૂત યુસુફે એલ્ડોબે કાશ્મીર નાગરિકના અધિકારનું સમર્થન કરીને પાકિસ્તાના નાપાક મનસુબાને પરોક્ષ રીતે મદદ કરી છે.
OIC લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવો અનુસાર જમ્મુ અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારનું સમર્થન કરી રહ્યું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પણ ચૂંટણીમાં ફાયદા માટે કાશ્મીરીઓને આત્મનિર્ણયના અધિકારનું સમર્થન કર્યું હતું. જો કે સમગ્ર વિશ્વ એ સત્યથી વાકેફ છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેમાં પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનનો એજન્ડા કાશ્મીર પર OICને ગેરમાર્ગે દોરવાનો છે. તે પોતાના અંગત હિતોને આગળ વધારવા માટે મુસ્લિમ દેશોના આ પ્લેટફોર્મનો સતત ઉપયોગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે દર વખતે ભારતે OICના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમ છતાં ઇસ્લામિક દેશોના આ સંગઠને ભારત વિરુદ્ધ નિવેદનબાજી ચાલુ રાખી છે.