રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઉદયપુરના કનૈયાલાલ હત્યા કેસમાં આઠમા આરોપીની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે 19 વર્ષીય મોહમ્મદ જાવેદે કનૈયાલાલની હત્યાના કાવતરામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે રેકી કરીને તમામ માહિતી પુરી પાડી હતી,તેણે મુખ્ય આરોપી રિયાઝ અત્તારીને કન્હૈયાની દુકાનમાં હાજર છે તેની પણ માહિતી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આઠમો આરોપી મોહમ્મદ જાવેદ ઉદયપુરમાં સિંધી સરકારની હવેલીનો રહેવાસી છે. તેના પિતા બેકરીનું કામ કરે છે અને પરિવાર મૂળ બિહારનો છે. NIA છેલ્લા ઘણા દિવસોથી આરોપી મોહમ્મદ જાવેદની પૂછપરછ કરી રહી હતી. તેની ભૂમિકાની પુષ્ટિ થતાં, NIAએ આરોપીની ધરપકડ કરી.
ઉલ્લેખનીય છે કે NIAએ 9 જુલાઈના રોજ હત્યાના આ કેસમાં સાતમા આરોપી ફરહાદ મોહમ્મદ શેખની ધરપકડ કરી હતી. ફરહાદ મુખ્ય આરોપી રિયાઝની નજીક હતો અને ષડયંત્રમાં સામેલ હતો. કાવતરામાં સામેલ હત્યારા મોહમ્મદ રિયાઝ અત્તારી, ગૌસ મોહમ્મદ, મોહસીન, આસિફ, મોહમ્મદ મોહસીન અને વસીમ અલી 1 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.
નોંધનીય છે કે કે 28 જૂને કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. કનૈયાલાલે પ્રોફેટ પર ટિપ્પણી કરનાર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. જેનો બદલો લેવા કટ્ટરવાદીઓએ કન્હૈયાલાલની હત્યા કરી નાખી હતી.