ડમીકાંડમાં કથિત તોડકાંડના આક્ષેપ બાદ યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું હતું. જોકે નાદુરસ્ત તબિયતના કારણે યુવરાજસિંહ જવાબ રજૂ કરવા જઇ શક્યા ન હતા. તેઓ આજે પોલીસ સમક્ષ હજાર થતાં પહેલા નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છેકે, મારું નિવેદન લેવામાં આવતું હોય તો પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને અસીત વોરાનું પણ નિવેદન લેવામાં આવવું જોઇએ.
મહત્વની વાત છે કે ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહીનો દૌર હજુ પણ લંબાય તેવી શક્યતાઓ છે. એવામાં બીપીન ત્રિવેદી દ્વારા યુવરાજસિંહે પૈસાનો વ્યવહાર કરી કેટલાક નામ છુપાવ્યા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ભાવનગર એસ.ઓ.જી.એ યુવરાજસિંહ જાડેજાને સમન્સ મોકલ્યું હતું. પરંતુ પ્રથમ સમન્સમાં યુવરાજસિંહ જાડેજા નાદૂરસ્ત તબિયતના કારણે પોલીસ સમક્ષ હાજર રહ્યા ન હતા. જેથી બીજુ સમન્સ પોલીસે જાહેર કર્યું હતું જેના અનુસંધાને યુવરાજસિંહ આજે ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થવા પહોંચ્યા છે. તે પહેલા યુવરાજસિંહે ખળભળાટ મચાવી દે તેવા ખુલાસા કર્યા છે.
આજે પોલીસ સમક્ષ હાજર થતા પહેલા વાત કરતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપ કરતા કહ્યુ કે, મોટા રાજકીય માથા આ આખુ કૌંભાડ દબાવવા પ્રયાસ કરી રહ્યાં છે. યુવરાજસિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કૌંભાડમાં સંડોવાયેલા પૂર્વ પ્રધાનોને પણ પોલીસે સમન્સ આપીને તપાસ કરવી જોઈએ. આ ડમીકાંડ આજકાલનો નહી 2004થી ચાલતો આવ્યો છે. અમે જેમની સામે મે જાહેરમાં આક્ષેપ કર્યા છે તેમને સમન્સ નથી પાઠવ્યા.
મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવાશે. હિટ એન્ડ રનમાં કચડી નાંખવાનું ષડયંત્ર ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે જે નામો આપીએ છીએ તેની તપાસ નથી કરવામાં આવતી. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર કરી હતી. આ સાથે ડમીકાંડ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 2004થી આ કૌભાંડ ચાલી રહ્યું છે. આ ડમીકાંડથી અનેક લોકો અધિકારીઓ બની ગયા. સરકાર આરોપીને સાક્ષી બનાવીને અમને સમન્સ પાઠવે છે.
ગઇકાલે યુવરાજસિંહે જણાવ્યું હતું કે, મે કોઇપણ પ્રકારની માહિતી છૂપાવી નથી. હું ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનો છું અને પોલીસને તમામ પ્રકારનો સહયોગ આપીશ. હું પોલીસને મોટા માથાઓ, મોટા નેતાઓ અને મંત્રીઓના નામ આપીશ. જે પ્રકારે અમારા નિવેદન લેવામાં આવી રહ્યાં છે. તે રીતે આ નેતાઓના પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું છેકે, 2004થી આ કૌભાંડ ચાલી રહ્યું છે. નેતાઓની રહેમરાહ હેઠળ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આરોપીઓને સાક્ષી બનાવીને તેમના નિવેદન દ્વારા કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે રાજકીય નેતાઓનો હાથો બનીને કાર્યવાહી ન કરવી જોઇએ. હજી તો આ એક ચેપ્ટર ખોલ્યું છે. બીજા અનેક ચેપ્ટર આગામી સમયમાં સબળ પુરાવા સાથે રજૂ કરવામાં આવશે. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. મને અનેક પ્રકારી ધમકીઓ આપવામાં આવી રહી છે. મારા પરિવારના જીવને ખતરો છે. મને અને મારા પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે.
આ પણ વાંચો:હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ વેચનારા પર SOGની તવાઇ, બે લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો:મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, ચાર લોકોના મોત: જુઓ વીડિયો