ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં જીતની શરૂઆત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી હતી. પરંતુ તમામ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન સમાચાર આવી રહ્યા હતા કે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે રમાનાર મેચમાં ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. પરંતુ હવે BCCIએ આ સમાચારનું સત્ય બધાની સામે લાવી દીધું છે.
શું ટીમ ઈન્ડિયા ભગવા જર્સી પહેરશે?
14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ પહેલા સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ટીમ ભગવા રંગની જર્સી પહેરીને પાકિસ્તાન સામે રમશે. પરંતુ હવે BCCIએ આ સમાચારની સત્યતા જણાવીને આવા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. BCCIના ટ્રેઝરર આશિષ શેલારે કહ્યું કે, અમે આવા દાવાઓને સ્પષ્ટપણે નકારીએ છીએ. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે બીજી કોઈ કીટ પહેરવાની નથી. આ સમાચારોનો કોઈ આધાર નથી પણ કોઈની કલ્પના છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની તમામ મેચ તેની બ્લુ કલરની જર્સીમાં રમશે.
પ્રેક્ટિસ કીટનો રંગ ઓરેન્જ છે
હવે તમે વિચારતા જ હશો કે આવા સમાચાર કેવી રીતે ફેલાઈ ગયા કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ભગવા રંગની જર્સી પહેરશે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી મેચ પહેલા ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસની તસવીરો સામે આવી હતી, જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઓરેન્જ કલરની કિટ પહેરી હતી. ત્યાર બાદ સમાચાર ફેલાઈ ગયા કે ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સી પહેરીને પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. એટલું જ નહીં, આ કિટના રંગને લઈને ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં યુઝર્સ આ રંગને ભાજપ સાથે જોડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Blackmoney/ સ્વિસ બેંકે ભારત સરકાર સાથે ભારતીય ખાતાધારકોનો ડેટા શેર કર્યા!
આ પણ વાંચો: Rajkot/ જાણો, ઇઝરાયલમાં રહેલી ગુજરાતની દીકરીએ શું કહ્યું…..
આ પણ વાંચો: CWC Meeting/ જાતિ ગણતરી પર ‘રાહુલ ગાંધી’નું મોટું નિવેદન…