સુરતઃ સુરતના આવકવેરા વિભાગે બિલ્ડર જૂથ પર દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં 260 કરોડથી વધુ રકમના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. સુરાણા અને કંસલ જૂથને ત્યાં પાડેલા દરોડાની કાર્યવાહી પાંચમા દિવસે પણ ચાલું છે. આ બે મોટા જૂથ પર પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહી હજી સુધી પૂરી થઈ નથી. આ દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવ્યા છે.
બુધવારની કાર્યવાહીમાં 20થી વધુ બેન્ક લોકર, મોટાપાયા પર ઝવેરાત અન્ય રોકાણની સાથે 250 કરોડડથી વધુની રકમના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. સુરતમાં આવકવેરા વિભાગના દરોડામાં મોટા પ્રમાણમાં બેહિસાબી આવક જપ્ત કરવામાં આવી છે.
આવકવેરા વિભાગના દરોડામાં દસ કરોડ રૂપિયા રોકડા અને ઝવેરાત મળી આવ્યું છે. સુરાણા અને કંસલ ગ્રુપના 20 બેન્ક લોકરો અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવ્યા છે. બંને ગ્રુપને ત્યાંથી 260 કરોડથી વધુ રકમના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ ગ્રુપના દરોડામાં મોટાપાયા પર જમીન ખરીદી, શેરબજારમાં રોકાણ, રોકડમાં સોદાની ડાયરી મળી આવી છે. કમ્પ્યુટર સોફ્ટવેરમાંથી પણ આઇટી વિભાગને માહિતી મળી છે. કુલ 22 સ્થળો પર આવકવેરા વિભાગે સર્ચની કાર્યવાહી કરી હતી. હજી પણ દરોડાની કાર્યવાહી ચાલુ જ છે. તેથી આ આંકડો વધી જઈ શકે છે.
સરકાર કોર્પોરેટ ટેક્સ કલેકશન બાર લાખ કરોડ પર પહોંચાડવા માંગે છે તેના ભાગરૂપે જ કોર્પોરેટ જૂથો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય વ્યક્તિગત ટેક્સ કલેકશન પણ ગયા નાણાકીય વર્ષમાં દસ લાખ કરોડની નજીક હતુ, તેને પણ સરકાર આગામી નાણાકીય વર્ષમાં 12 લાખ કરોડે પહોંચાડવા માંગે છે. તેની સાથે સરકાર જીએસટી કલેકશન પ્રતિ માસ બે લાખ કરોડ એટલે કે વર્ષે 24 લાખ કરોડ પર પહોંચાડવા માંગે છે અને સરકારને વિશ્વાસ છે કે કમસેકમ આગામી બે નાણાકીય વર્ષમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લેવાશે. સરકાર આ રીતે તેની કુલ વાર્ષિક આવક આગામી બે નાણાકીય વર્ષમાં 50 લાખ કરોડ પર લઈ જવા માંગે છે, જેથી બજેટરી ખાધ ઘટાડી શકાય.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ