ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ સરહદની સ્થિતિ પર સ્પષ્ટતા કરી છે. ખાસ કરીને ઉત્તરીય સરહદ (ચીન બોર્ડર) પર સંવેદનશીલ સ્થિતિ ગણાવતા વધુ સૈનિકો તૈનાત કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું. ચીની સૈનિકો દ્વારા ભારતીય સરહદ પર અવાર-નવાર ઘૂસણખોરી કરાયાની ઘટના બની છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખતા જરૂરિયાત મુજબ વધુ સૈનિકો તૈનાત કરવામાં આવશે. હાલમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને તરફથી 50-50 હજારથી વધુ સૈનિકો તૈનાત છે. આર્મી ચીફે કહ્યું કે એલએસી પર સુરક્ષા સંબંધિત કોઈપણ પડકારનો સામનો કરવા માટે સેના પાસે પર્યાપ્ત સૈનિકો છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર આર્મી ચીફે કહ્યું કે ત્યાં ઘૂસણખોરીના પ્રયાસો થયા છે છતાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ યથાવત છે.
તેમણે કહ્યું કે LAC પર 50 હજારથી વધુ સૈનિકો માટે રહેવાની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. રોડ બનાવવાની પ્રક્રિયા પણ તેજ ગતિએ ચાલી રહી છે. વૈકલ્પિક જોડાણ માટે રસ્તાઓ અને ટનલ બનાવવામાં આવી રહી છે. સમગ્ર LAC પર લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પર પણ પ્રગતિ થઈ છે. કોમ્યુનિકેશન પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું એક પાસું છે. અમે 355 ફોરવર્ડ પોસ્ટમાં 4G કનેક્ટિવિટી માટે સંચાર મંત્રાલયને વિનંતી કરી છે જેને મંજૂરી પણ મળી ગઈ છે. વીજ મંત્રાલય સાથે મળીને 105 ફોરવર્ડ સ્થાનો પર વીજળી પુરવઠાનું કામ કરવામાં આવી રહ્યું છે. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ બનાવવામાં આવી રહ્યા છે.
આર્મી ચીફે કહ્યું કે અમે ચીન અને ભૂટાન વચ્ચે સરહદને લઈને ચાલી રહેલી વાતચીત પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભૂતાન સાથે અમારા સારા સંબંધો છે જો કે ભારત-મ્યાનમાર સરહદ પરની સ્થિતિ અમારા માટે ચિંતાનો વિષય છે. અમે મ્યાનમાર આર્મી, એથનિક આર્મ્ડ ઓર્ગેનાઈઝેશન અને પીડીએફની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. મ્યાનમાર આર્મીના 416 લોકોએ સરહદ પાર કરી છે. મ્યાનમારના કેટલાક નાગરિકોએ મિઝોરમ અને મણિપુરમાં પણ આશરો લીધો છે. ભારત-મ્યાનમાર સરહદની બીજી બાજુ કેટલાક આતંકવાદી જૂથો છે જેઓ દબાણ અનુભવી રહ્યા છે અને સરહદ પાર કરીને મણિપુરમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી મ્યાનમાર સરહદ પર ચુસ્ત બંદોબસ્તા રાખતા વધુ સૈનિકો તૈનાત કર્યા છે. લગભગ 20 આસામ રાઇફલ્સ બટાલિયન તૈનાત કરવામાં આવી છે. મણિપુરની સ્થિતિ અને ત્યાંના વંશીય સંઘર્ષ અંગે આર્મી ચીફે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ત્યાં સંઘર્ષમય સ્થિતિ વચ્ચે પણ સૈનિકોએ સંયમ દર્શાવ્યો હતો. ગુમ થયેલા હથિયારોમાંથી માત્ર 30 ટકા જ રીકવર થયા છે.
આર્મી ચીફે કહ્યું કે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરની બે બેચને ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી છે અને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે પ્રોત્સાહક છે. જનરલ એમએમ નરવણે, જે જનરલ પાંડે પહેલા ચીફ હતા, તેમણે તેમના આગામી પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’માં અગ્નિપથ વિશે લખ્યું છે કે તે સેનાને આશ્ચર્યચકિત કરી દેશે. આ વાયુસેના અને નૌકાદળ માટે આઘાત સમાન હતું. આના પર જનરલ પાંડેએ કહ્યું કે પૂર્વ આર્મી ચીફે શું કહ્યું તેના પર ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નથી, પરંતુ હું કહેવા માંગુ છું કે અગ્નિપથનું અંતિમ માળખું દળ સાથે સંપૂર્ણ ચર્ચા કર્યા પછી બહાર આવ્યું છે. અમારી પાસે જે પણ મુદ્દાઓ હતા તેને ધ્યાનમાં રાખીને બધું નક્કી કરવામાં આવ્યું હતું. અગ્નિવીરને લઈને ગ્રાઉન્ડ પરથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. યુનિટમાં તેમનું એકીકરણ પણ સારી રીતે ચાલી રહ્યું છે. તેની તાલીમ અંગે કેટલાક પડકારો હતા પરંતુ તે વ્યૂહાત્મક સ્તરે હતું અને તે મેનેજમેન્ટનો મુદ્દો હતો. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, સેના જે પણ મુદ્દાઓ સામે આવી રહી છે તેનો ઉકેલ લાવવા સક્ષમ છે.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ