ગાંધીનગરઃ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલની યોજનાઓના લાભાર્થીઓ માટે આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવીને 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતકારી નિર્ણય કર્યો છે. તેના લીધે લાભાર્થીઓને નોંધપાત્ર રાહત થશે. તેની સાથે રાજ્યમાં રિડેવલપમેન્ટ (Redevelopment) દ્વારા ડેવલપમેન્ટના વેગ મળશે.
વધુને વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” 30 સપ્ટેમ્બર 2024 સુધીના સમય માટે જાહેર કરી છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં 61,310 જેટલા બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. ફક્ત એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક આઠ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસિંગ બોર્ડના બાકી હપ્તાની વસૂલાત થશે અને જૂના-જર્જરિત મકાનોના રિ-ડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બનશે તેમજ નવા મકાનોના આયોજન હાથ ધરી શકાશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રિડેવલપમેન્ટ પણ હાથ ધરી શકાશે.
આ પણ વાંચો:‘ઇલેક્ટોરલ બોન્ડ એ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ’, રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર