ગુજરાતમાં સતત આત્મહત્યા ના કિસ્સા વધી રહ્યા છે. એક પછી એક આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે. જ્યાં એક પિતાએ તેની બે પુત્રીઓ સાથે જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
થરાદ તાલુકાના શેરાઉ ગામે રહેતા વિક્રમભાઈ મઘાજી દરજીએ મંગળવારે સવારે તેમના ગામના શ્રી વાંકલ ગૌ શાળા વ્હોટસએપ ગ્રુપમાં પોતાની બે પુત્રી સાથેનો 9.51 મિનિટે ગામના તળાવમાં આવેલ કૂવા નજીક બેઠેલો ફોટો મૂક્યો હતો. જેમાં ઝેરી દવાની બોટલ પણ પડેલી દેખાતી હતી. ત્યારબાદ તેણે ઝેરી દવા પીને બન્ને દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.
મહામુસીબતે ગ્રામજનો દ્વારા પિતા અને બે પુત્રીઓની મૃતદેહને બહાર નીકળવામાં આવ્યા હતા. સામૂહિક આત્મહત્યા પહેલા પિતાએ પોતાની બે પુત્રીઓ સાથેનો સેલ્ફી ફોટો પણ લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનામાં પિતાએ કયા કારણોસર આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. આ સમગ્ર ઘટનામાં હજી સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો:જામનગરને સ્વસ્થ અને સ્વચ્છ શહેર કરવા વિપક્ષની માગ : ધરણા કરી આપ્યું આવેદન