@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યોઝ – અમદાવાદ
આપણા સમાજમાં માતાને એક વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે.’માં તે માં બીજા બધા વગડાના વા’,’ગોળ વિના સુનો કંસાર, મા વિના સુનો સંસાર’ માતૃ પ્રેમ માટે આવી અનેક કહેવતો છે.પરંતુ માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય એવી વધુ એક ઘટના શહેરના મણિનગરમાં સામે આવી છે.હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી. આસપાસના લોકોએ દરગાહમાં લઈ જઈ આ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરવામાં અવી હતી.
મળતી માહિતી અનુસાર, મણિનગર મચ્છી પીરની દરગાહ પાસેના રહેતા મહેમુદ ભાઈ શેખ કાગડાપીઠ માં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળી બહેન એ આવી મહેમુદ ભાઈની મામી ને બુમો પાડી જણાવ્યું કે દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતા ના મંદિર ના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવે છે. જેથી મેહમૂદભાઈ ના પરીવારજનોએ જઈને જોયું તો એક બાળક હાડ થિજાતી ઠંડીમાં રડતું હતું.
એક ચેઇન વાળી ગોદડી માં આ બાળક ઢાંકેલું હતું. ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મેહમૂદભાઈ સહિતના લોકો દરગાહ માં લઇ ગયા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. મેહમૂદભાઈ સહિતના લોકોને થયું કે કોઈ બાળકી મૂકી આસપાસ માં હશે પણ કોઈ અનેક સમય સુધી પરત ન આવતા મહેમુદ ભાઈએ પોલીસને જાણ કરી હતી. જેથી મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી આ બાળકી ને અજાણી સ્ત્રી તરછોડી દેવાનો ગુનો નોંધી બાળકીને સારવાર કરાવવાની તજવીજ હાથ ધરી.બીજીતરફ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા. જેમાં એક રિક્ષામાં કોઈ આવીને બાળકી તરછોડી દીધી હોવાનું સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.
બાળકી જે ગોદડી માં થી મળી આવી તે જોતા ભદ્ર સમાજની કોઈ વ્યક્તિએ આ બાળકીને તરછોડી દીધી હોવાનું પોલીસ માની રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઈ માસથી અત્યારસુધીમાં મણિનગર આવકાર હોલ, ઓઢવ, સોલા અને અમરાઈવાડી એમ કુલ પાંચેક ભ્રૂણ મળી આવ્યા હતા. ત્યારબાદ ગોમતીપુર માં થી પણ ભ્રુણ મળી આવ્યું હતું. જેની નોંધ ઉચ્ચ અધિકારી ઓ લીધી હતી અને તપાસ કરતા મણિનગરના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. જો કે મણિનગર ના વધુ એક આ બનાવમાં આરોપી સુધી પહોંચવામાં પોલીસ ને કેટલા સમય માં સફળતા મળે છે તે જોવું રહ્યું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…