@સરફરાઝ નાગોરી
Banaskantha news: 25 લાખથી વધુ મતદાતાઓ અને નવ વિધાનસભા મતવિસ્તારો ધરાવતી બનાસકાંઠા લોકસભા સીટ પર ચૌધરી તેમજ ઠાકોર મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. એક સમયે કોંગ્રેસનું ગઢ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીઓમાં ભાજપનો કમળ ખીલતો આવ્યો છે. ત્યારે 2024ની આ વખતની ચૂંટણીમાં ભાજપે બનાસ ડેરીનાં આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલની પૌત્રી ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો હવે બનાસકાંઠા કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાંથી વાવનાં વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ છેલ્લા બે દિવસથી મીડિયા જગતમાં ચર્ચાઈ રહ્યું છે. ખુદ ગેનીબેને તો પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધું છે. તેવા મંતવ્ય ન્યુઝને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સીટ પરથી કોંગ્રેસ ગેનીબેનને બદલે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પણ બનાસકાંઠાથી ઉમેદવાર બનાવી સહુ કોઈને ચોંકાવી શકે છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, જગદીશ ઠાકોર એ ઉત્તર ગુજરાતનાં ઠાકોર મતદાતાઓ પર પક્ક્ડ ધરાવતા ગુજરાત કોંગ્રેસનાં પ્રથમ હરોળનાં નેતા ગણાય છે. જગદીશભાઈ અગાઉ પાટણ જિલ્લાનાં સાંસદ તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષની જવાબદારીઓ સાંભળી ચુક્યા છે. પ્રભાવશાળી વક્તૃત્વ શૈલી ધરાવતા જગદીશભાઈનાં ભાઈનાં નાના ભાઈ અમરતજી ઠાકોર પણ બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય છે.ત્યારે હવે ગેનીબેનની તૈયારીઓ વચ્ચે જગદીશ ઠાકોરનું નામ ચર્ચામાં આવતા બનાસકાંઠાનાં રાજકારણમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ચુકી છે.
ગેનીબેન ઠાકોર મૂળ બનાસકાંઠા જિલ્લાનાં ભાભર તાલુકાનાં વતની છે. તેઓ છેલ્લી બે ટર્મથી વાવનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. ફાયર બ્રાન્ડ મહિલા નેતા તરીકે જાણીતા ગેનીબેન ઠાકોર સહુથી વધુ ચર્ચામાં 2017ની ચૂંટણીથી આવ્યા હતાં. 2017માં ભાજપનાં દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને હરાવી તેઓ લાઇમલાઈટમાં આવ્યા હતાં. ગેનીબેન 2017 બાદ 2022માં ભાજપની લહેર વચ્ચે પણ વાવ બેઠક કબ્જે કરવામાં સફળ રહ્યાં હતાં. વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસની એકમાત્ર મહિલા સભ્ય અનેકવખત વિવાદોમાં પણ આવી ચુક્યા છે. આ બધા વચ્ચે ગેનીબેનની ટિકિટ ફાઇનલ થઇ ગઈ હોવાના સમાચારો છેલ્લા બે દિવસથી મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં ચમકી રહ્યાં છે. તેવામાં કોંગ્રેસ છેલ્લી ઘડીએ જો કોઈ અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારે તો ગેનીબેન કયો સ્ટેન્ડ લેશે તે ભવિષ્યનાં ગર્ભમાં છુપાયેલું છે.
ઠાકોર સમાજનું આ સીટ પર પ્રભુત્વ હોવાથી જો કોંગ્રેસ અન્ય કોઈ ઠાકોરને મેદાનમાં ઉતારવાનું મન બનાવે તો પીનલ બેન ઠાકોરને પણ ટિકિટ મળી શકે છે. પીનલબેન ઠાકોર જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ મહિલા પશુપાલક પણ હોવાથી ડૉ. રેખાબેન ચૌધરી અને પીનલબેન વચ્ચે પશુપાલકોનાં મતો વહેંચાવવાની પણ શક્યતા રહેલી છે. જેણે લીધે હાલ આ બેઠક પર પીનલબેન ઠાકોરનું નામ ચર્ચામાં છે.
બનાસકાંઠાની રાજનીતિમા ગઢવી પરિવારનો વર્ષો સુધી વર્ચસ્વ રહેલો છે. મતબેન્કની દ્રષ્ટિએ ગઢવી પરિવારનું કદ નાનું હોવા છતાં અહીંથી ભૈરવદાન એટલેકે બી. કે. ગઢવી સાંસદ તરીકે ચૂંટાઈ રાજીવ ગાંધીની સરકારમાં કેન્દ્રીય રાજ્ય ખર્ચ મંત્રી પણ રહ્યાં હતાં . આ ઉપરાંત તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદે પણ ફરજ બજાવી ચુક્યા હતાં. એટલું જ નહીં તેમના પુત્ર મુકેશ ગઢવી દાંતા બેઠકથી ત્રણ ત્રણ વાર ધારાસભ્ય અને એક વખત જિલ્લાનાં સાંસદ પણ રહી ચુક્યા હતાં. આ બન્ને દિગ્ગજ નેતા ઓ હવે આ દુનિયામાં નથી, તેમ છતાં સ્વ. બી. કે. ગઢવી નાં નાના પુત્ર દિનેશ ગઢવી અને મુકેશ ગઢવીનાં પુત્ર રવિરાજ ગઢવી હાલ સક્રિય રાજકારણમાં છે. તેથી જો કોંગ્રેસ ઠાકોર નેતાઓનાં ગજગ્રાહ વચ્ચે જો અન્ય ઉમેદવારના નામ પર મોહર મારે તો દિનેશ ગઢવીને લોકસભા લડવાની તક મળી શકે છે.
જિલ્લાનાં રાજકારણમાં આર. ડી. નાં હુલામણા નામથી ઓળખાતા રાજેન્દ્ર ધુડાભાઈ જોશીનું નામ પણ જાણીતું છે. કેસર સેવા ટ્રસ્ટ થકી સમાજસેવામાં અગ્રેસર અને બે વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા આર. ડી. જોશીને પણ કોંગ્રેસ બનાસકાંઠાથી લોકસભાનાં ઉમેદવાર બનાવી શકે છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ
આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’
આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી
આ પણ વાંચો:શિવરાત્રીના દિવસે રૂખસાના બની રાખી, ભોલે બાબાની સાક્ષી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા