ગણેશ ચતુર્થી નિમિત્તે જામનગરની ભાગોળે આવેલા સપડા ગામની સીમમાં ધાર ઉપર બીજા જતા 500 વર્ષથી વધુ પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે દૂરદૂરથી ભક્તો રાત્રીથી જ ચાલીને પહોંચી રહ્યા છે. દર વખતે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ગણેશ ચતુર્થી ના આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ લોકો સિદ્ધિવિનાયક ના દર્શન માટે પહોંચી રહ્યા છે. ખાસ સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ થી દર્શન માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને દિવસ દરમિયાન વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ સપડા ખાતે જોવા મળ્યો હતો.
સપડેશ્વર શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના મહંત મિલનગીરી મહારાજ અને સેવકો દ્વારા સવારથી જ વ્યવસ્થા કરાય છે. મંદિરમાં ગણેશજીની સ્વયંભૂ પ્રતિમાને ખાસ મોદકનો ભોગ પણ કરવામાં આવ્યો છે તેમજ ગણેશ ચતુર્થી નિમિત્તે મંગળા આરતી, હવન અને ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે લોકો પણ સપડા તરફ આવી ગણપતિની પ્રતિમાના દર્શન કરી રહ્યા છે અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.
જામનગરથી 21 કિલોમીટર દુર કાલાવડ રોડ પર આવેલ વીજરખી બાદ આવતા સપડા ગામે ટેકરા પર સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક સપડેશ્વર ગણપતિનું મંદિર આવેલ છે. સિધ્ધિવિનાયક મંદિરે દેશ અંને વિદેશથી પણ ભક્તો આવે છે. ભક્તોની આસ્થા અને મનોકામના ફળીભૂત કરતાં વિધ્ન હર્તા ગણપતિ દેવ રૂપારેલ નદીના કિનારે અને નયન રમ્ય ટેકરીમાં 500થી પણ વધુ વર્ષોથી સ્વયંભૂ હોવાની લોકવાયકા છે.
દેશના સીમાડા વટાવીને પણ વિદેશમાં સ્થાઈ થયેલા ભારતીયો સમયાંતરે સપડાના ગણેશજી ને શીશ જુકાવવા જરૂર આવે છે. જેનું પરિમાણ અત્રેની દાન પેટીમાંથી નીકળતા ડોલર, પાઉન્ડ સહીતના વિદેશી ચલણના આધારે મળે છે. દર મહિનાની ચોથનો ભક્તિ ભાવ સવિશેષ છે. એટલે તો જામનગર સહીત જીલ્લા ભરમાંથી ભક્તો ચોથ ભરવા પગપાળા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.