ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણના વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે રાજકારણમાં જોડાવાનો સંકેત આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં જોવા મળી શકે છે. રાજકારણમાં પ્રવેશવાનો સંકેત આપતા, કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે બુધવારે જણાવ્યું હતું કે જો ગુજરાતના લોકો તેમને સ્વીકારવા તૈયાર હશે તો તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનું વિચારશે.
ગુજરાતના ભરૂચમાં એક કાર્યક્રમમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં મુમતાઝ પટેલે કહ્યું, “સૌથી પહેલા તો હું અહેમદ પટેલનો રાજકીય વારસદાર નથી. પરંતુ જો મને સારું કામ કરવાની તક આપવામાં આવશે તો હું ચોક્કસપણે સક્રિય રાજકારણમાં ઉતરીશ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેમને ચૂંટણીમાં ટિકિટની ઓફર કરવામાં આવશે તો તે શું કરશે, તો તેમણે કહ્યું, “જો લોકો મને સ્વીકારવા તૈયાર હશે, તો હું ચોક્કસપણે ચૂંટણી લડીશ.” નોંધનીય છે કે ગુજરાતના રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલનું નવેમ્બર 2020માં કોવિડ-19 સંબંધિત કારણોથી અવસાન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ પહેલા કહી ચૂક્યા છે કે જો પાર્ટી ઇચ્છે તો તે રાજકારણમાં જોડાવા અને ચૂંટણી લડવા તૈયાર છે.