અમદાવાદ
અમદાવાદમાં ઉપવાસ આંદોલન માટે નિકોલનું ગ્રાઉન્ડ નહીં મળતા હાર્દિક પટેલ મ્યુ કમિશ્નર અને પોલીસ કમિશ્નરને રજુઆત કરશે. પાસ દ્વારા અન્ય ત્રણ ગ્રાઉન્ડની પણ માગ કરવામાં આવી છે.
હાર્દિકે અમદાવાદના નિકોલમાં ઉપવાસ માટે માંગેલું મેદાન પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સંદર્ભે પાસ કન્વીનરે કહ્યું કે, 10મી ઓગસ્ટના શુક્રવારે હું આંદોલનની મંજૂરી બાબતે પહેલી અને છેલ્લી વાર અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરને બપોરે 2.15 કલાકે તેમજ મ્યુનિ. કમિશ્નરને ૩.20 કલાકે રૂબરૂ મળીશ.
પાસ કન્વીનરે કહ્યું કે, ઉપવાસ કાર્યક્રમ બંધ રાખવા માટે ભાજપ સરકાર તમામ તાકાત લગાવી રહી છે, તમામ પ્રકારના તરકટ રચી રહી છે. પાસ ટીમનું કહેવું છે કે, ઉપવાસ માટે ૫૦થી વધુ દિવસ પહેલાં કોર્પોરેશનના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, હવે આ મેદાનને રાતોરાત પાર્કિંગ ઝોન જાહેર કર્યો એટલે અમે સહકારની ભાવનાથી નિકોલમાં આવેલા બીજા પ્લોટમાં કાર્યક્રમ કરવા માટે તૈયારી દર્શાવી છે.
પાસ કન્વીનર નિખિલ સવાણીએ જણાવ્યું કે, ગ્રાઉન્ડ નહીં મળે તો પણ ઉપવાસ આંદોલન થશે. જે ગ્રાઉન્ડ પાર્કિંગ આવ્યું છે ત્યાં જ આંદોલન થશે. સાથે જ જણાવ્યું કે વાહનો પાર્ક કરી અને વાહનો ઉપર બેસીને ઉપવાસ કરીશુ.