Ahmedabad News: અમદાવાદમાં તસ્કરોનો આતંક ફરી સામે આવ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં વૃદ્ધ દંપતી પોતાના પુત્રને મળવા સુરત ગયા હતા, ત્યારે બંધ મકાનને તસ્કરોએ (Ahmedabad Nikol Theft) નિશાન બનાવ્યું હતું. તસ્કરો બાલ્કનીનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યા અને દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.6.77 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પુત્રને મળવા સુરત ગયા હતા દંપતી
નિકોલના કઠવાળા ગેલેક્ષી હોમ્સ બંગલોઝમાં રહેતા 69 વર્ષીય દિનેશ પંચાલ નિવૃત્ત (Nikol House Theft) જીવન જીવે છે. ગત 13 ઓગસ્ટ 2026ના રોજ તેઓ પત્ની સાથે સુરત રહેતા પોતાના પુત્રને મળવા ગયા હતા. ઘર બંધ હોવાથી તસ્કરોએ આ તકનો લાભ લીધો હતો. દંપતી સુરત ગયા બાદ બીજા દિવસે પાડોશીએ દિનેશ પંચાલને ફોન કર્યો હતો. પાડોશીએ તેમના ઘરની પાછળની બાલ્કનીનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. આથી દિનેશ પંચાલે પોતાના પૌત્રને ઘરે જઈને તપાસ કરવા કહ્યું હતું અને પોતે પણ તાત્કાલિક અમદાવાદ પરત આવ્યા હતા.
Ahmedabad Nikol Theft: ઘરમાં સામાન વેરવિખેર મળ્યો
ઘરે પહોંચીને દંપતીએ તપાસ કરતાં ઘરની અંદરનો સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. ઘરમાં ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેમણે કબાટ સહિતની વસ્તુઓ તપાસી હતી. તપાસ દરમિયાન રોકડ રકમ અને દાગીના સહિતની મત્તા ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
રૂ.2.99 લાખ રોકડ સહિત કુલ રૂ.6.77 લાખની ચોરી
પ્રાથમિક માહિતી મુજબ તસ્કરો રૂ.2.99 લાખની રોકડ રકમ ઉપરાંત દાગીના સહિત કુલ રૂ.6.77 લાખની મત્તા ચોરી ગયા હતા. તસ્કરોએ ઘરમાં પ્રવેશવા માટે પાછળની બાલ્કનીનો દરવાજો ખોલ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટના અંગે દિનેશ પંચાલે નિકોલ પોલીસ (Nikol Police) સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. તસ્કરો કઈ રીતે ઘરમાં પ્રવેશ્યા અને ચોરી બાદ કઈ દિશામાં ફરાર થયા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કેશોદમાં મધરાતે તસ્કરોનો આતંક! 2 બાઇક ઉઠાવી, દુકાનના તાળા તોડી રોકડ-સામાનની ચોરી
આ પણ વાંચો: 3ની ક્ષમતાની લિફ્ટમાં 7 લોકો! સુરતમાં બીજા-ત્રીજા માળ વચ્ચે અટવાયા, અડધા કલાકે બચાવ
આ પણ વાંચો: શાહીબાગ-નરોડાથી SG હાઈવે સુધી લક્ઝરી બસોનો ત્રાસ! પ્રતિબંધિત સમયમાં પણ અવરજવર યથાવત
