અમદાવાદ,
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે તોફાની ટોળકીએ આતંક મચાવ્યો હતો.મધરાત્રે નીકળેલી તોફાની ટોળકીએ જુદાજુદા સ્થળો પર પાર્ક કરાયેલા અગીયાર જેટલા ટુ વ્હીલર્સને આગ ચોંપી દીધી હતી.મધરાત્રે ભડભડ સળગી ઉઠેલા વાહનોના દ્રશ્યો નિહાળી હજારો લોકો દોડી આવ્યા હતા.જોકે તે પહેલાં જ તોફાની ટોળકી ફરાર થઈ ગઈ હતી.એકસાથે અગીયાર જેટલા વાહનોને સળગાવી દેનાર શખસોની પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે જુદાજુદા સ્થળો પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
દુકાનદાર દીપકે કહ્યું હતું કે વાહનો સળગતા હોવાથી લોકોએ પાણી નાખી આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા.આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રીગેડ અને પોલીસ ટીમ દોડી આવી હતી.એકસાથે અગીયાર વાહનો સળગતી હાલતમાં મળી આવતાં લોકોમાં ભારે રોષ અને ગભરાટ ફેલાઈ ગયો હતો.ચોંકાવનારી બાબત એ હતી કે એક્ટીવા અને બાઈક એક સાથે સળગાવવાના કારણે આગની જ્વાળાઓ ઉંચે સુધી ગઈ હતી.જેના પરિણામે એક મકાનને નુકશાન થયું હતું.આ રીતે અન્ય એક દુકાનનું બોર્ડ પણ સળગી ઉઠ્યું હતું.
પોલીસે એક દુકાનમાંથી સીસીટીવી ના ફુટેજ મેળવ્યા હતા.જેમાં ત્રણ ટુ વ્હીલર્સ પર ચાર યુવાનો પસાર થતા હોવાના દ્રશ્યો છે.જે વાહનો સળગાવના શકમંદો હોવાનું અનુમાન છે.એક સળગેલા બાઈક પસેથી પેટ્રોલનો ખાલી કેરબો મળી આવ્યો હતો.ઉપરાંત એક ખાલી બીયરનું ટીન પણ મળી આવ્યું હતું.એવી પણ શંકા છે કે તોફાની ટોળકીએ બીયર પીધા બાદ છાટકા બની જઈ વાહનો સળગાવી આતંક મચાવ્યો હતો.