Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં મનરેગા યોજનામાં મસમોટા ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે. કાલોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ખેરે આ યોજનામાં લાખો રૂપિયાની ખાયકી થઈ હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આ મામલે તેમણે તાત્કાલિક તપાસની માંગ કરી છે, જેથી આ કથિત કૌભાંડની હકીકતો બહાર આવે.
ભૂપેન્દ્ર ખેરે જણાવ્યું કે મનરેગા યોજના હેઠળ નિયત કરાયેલા કામો માત્ર કાગળ પર જ થયેલા બતાવવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવિક સ્થળ પર આવા કોઈ કામોના કોઈ પુરાવા નથી. તેમણે આરોપ લગાવ્યો કે યોજના હેઠળ ફાળવવામાં આવેલા લાખો રૂપિયા ખોટી રીતે ઉપડી ગયા છે. આ ઉપરાંત, જે લોકોના નામે કામો થયેલા બતાવાયા છે, તે પણ માત્ર કાગળ પર જ છે, જે ગંભીર ભ્રષ્ટાચારનો સંકેત આપે છે.
પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજના સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપો નવા નથી. ભૂતકાળમાં પણ આવા આરોપો ઉઠ્યા હતા, જેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને કેટલાક આરોપીઓની ધરપકડ પણ થઈ હતી. આવા સંજોગોમાં કાલોલમાં નવા આરોપો ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
ભૂપેન્દ્ર ખેરે રાજ્ય સરકારને આ મામલે તાત્કાલિક અને તટસ્થ તપાસની માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે જો ગંભીરતાથી તપાસ થશે તો મોટું કૌભાંડ ખુલશે, જે યોજનાના નાણાંના દુરુપયોગની હકીકતો બહાર લાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે, પરંતુ આવા ભ્રષ્ટાચારથી ગરીબોનો હક છીનવાઈ રહ્યો છે.
આ પણ વાંચો:ભરૂચ : ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ
આ પણ વાંચો:ખેરાલુમાં મનરેગા કૌભાંડ! કામ થયા વિના જ રૂપિયા ચૂકવવાનો આરોપ
આ પણ વાંચો:દાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ
