સરકારે અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરી દીધું છે. આ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 62 દિવસ સુધી ચાલશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 17મી એપ્રિલથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જ જમ્મુ-કાશ્મીરને લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. પવિત્ર યાત્રાધામ અને નોંધણી માટેની તારીખોની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે (14 એપ્રિલ) કહ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલીમુક્ત તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
વહીવટીતંત્ર તમામ મુલાકાતી ભક્તો અને સેવા પ્રદાતાઓને સારી આરોગ્ય સંભાળ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરશે. તીર્થયાત્રાની શરૂઆત પહેલા ટેલિકોમ સેવાઓ કાર્યરત કરવામાં આવશે. ઉપરાજ્યપાલે કહ્યું કે યાત્રા બંને માર્ગોથી શરૂ થશે- અનંતનાગ જિલ્લામાં પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લામાં બાલતાલ. ઉપરાજ્યપાલે આ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ભક્તો માટે સવાર અને સાંજની આરતી (પ્રાર્થના)નું જીવંત પ્રસારણ પણ કરશે.