કોરોના કાળમાં લોકોની આવક ઘટી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં ધરખમ વધારો થયો છે. ચાલુ વર્ષે ટેક્સની વસૂલાતનો જે આવકનો લક્ષ્યાંક આપ્યો હતો તેની બિલકુલ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી ગયું છે.
- સિલિંગ પ્રક્રિયા બાદ આવકનો ધોધ વરસ્યો
- છેલ્લા 25 દિવસથી એએમસીની ઝુંબેશ લાવી રંગ
- પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ચલાવી છે ઝુંબેશ
- પ્રતિદિન 6 થી 8 કરોડ ટેક્સ પેટે આવક
કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની આવક જાળવી રાખી છે. માર્ચના અંત સુધીમાં 1100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 1075 કરોડથી વધુનો ટેક્સ વસૂલાઇ ગયો છે. છેલ્લા 25 દિવસમાં જ લોકોએ રૂ. 98.40 કરોડનો ટેક્સ ચૂકવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો પ્રતિદિન સરેરાશ 6થી 8 કરોડ ટેક્સ પેટે ચૂકવે છે. ગુરુવારે ટેક્સની કુલ આવક રૂ. 1073.58 કરોડ પર પહોંચી છે. જે ગત વર્ષે આ જ સમયગાળા કરતા ત્રણ કરોડ વધુ છે.
સિલિંગ ઝુંબેશમાં કડક હાથે કરી કાર્યવાહી
પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાની મિલકત કરી સીલ
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા લોકો સામે એએમસીએ મહિનાની શરૂઆતમાં જ લાલ આંખ કરી છે અને હજુ પણ કેટલાક સ્થાને સિલિંગ પ્રક્રિયા ચાલુ છે. ઉત્તર ઝોનમાં 60 દક્ષિણ ઝોનમાં 60 અને દક્ષિણ પશ્ચિમની 12 સહિત 200થી વધુ મિલકતો સામે સીલિંગ પ્રક્રિયા કરાઇ હતી. જેની અસરને પગલે હવે એએમસીને પ્રોપર્ટી ટેક્સ પેટે દૈનિક આવકમાં વધારો થયો છે. તો આ તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર એએમસીએ વર્ષ દરમિયાન 11502 પ્રોપર્ટીને સીલ માર્યું છે, જેને કારણે પણ તીજોરી હવે વસૂલાત પેટે છલકાઇ છે.
રીબેટ સ્કિમનો પણ લોકોએ લીધો લાભ
અનલોકની શરૂઆત સાથે કોર્પોરેશન દ્વારા 1 લી જુન 2020 થી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ કોર્મશિયલ મિલ્કતોને બાકી વ્યાજમાં 20 ટકા રીબેટ આપવાની જાહેરાત કરાઇ હતી. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના કારણે પણ એએમસીને ખાસ્સી એવી આવક થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.