કોરોના રસીકરણમાં ગુજરાતે દેશભરના મોટા રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ તમ દેખાવ દ્વારા બેસ્ટ વેકસીનેશન કોમ્બેટીંગ કોવિડ-19 નો એવોર્ડ મેળવવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે. નવી દિલ્હીમાં આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતને “ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ 2021” અંતર્ગત આ ગૌરવ સન્માન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ એનાયત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોરોના વેકસીનેશન સાથે સંકળાયેલા રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સૌ કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા 18 વર્ષથી ઉપરની વયના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકો છે. આરોગ્ય વિભાગે સઘન કોરોના રસીકરણ ઝુંબેશ આદરીને 4 કરોડ 21 લાખ 86 હજાર 528 પ્રથમ ડોઝ અને 1 કરોડ 92 લાખ 4 હજાર 611 બીજો ડોઝ મળીને કુલ 6 કરોડ 13 લાખ 91 હજાર 139 ડોઝ આપ્યા છે.
ઇન્ડીયા ટુ ડે ગૃપ દ્વારા “હેલ્થગીરી 2021 એવોર્ડ” માં વિશેષ ગૌરવ સન્માન ભારત સરકાર માં સેવારત તત્કાલીન સચિવ અને ગુજરાત કેડરના વરિષ્ઠ સનદી અધિકારી સ્વ. ગુરૂપ્રસાદ મહાપાત્રાને એકમાત્ર Unsung Hero તરીકે આપવામાં આવ્યું હતું. આ ગૌરવ સન્માન એવા વ્યકિત વિશેષને એનાયત કરવામાં આવે છે જેમણે કોવિડ-19 દરમિયાન નિઃસ્વાર્થ કર્તવ્ય પરાયણતા કોઇપણ પ્રસિદ્ધિ વિના કે જાહેરમાં આવ્યા સિવાય દાખવી હોય. સ્વ.ગુરૂપ્રસાદ મહાપાત્રા આવી કર્તવ્યદક્ષતા નિભાવતાં સ્વયં કોવિડ-19 મહામારીનો ભોગ બનીને દુઃખદ અવસાન પામ્યા છે.
આ ગૌરવ સન્માન ગુરૂપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત એનાયત કરવામાં આવ્યું હતું. સ્વ.મહાપાત્રા વતી આ સન્માન તેમના ધર્મપત્ની અને પૂત્રએ સ્વીકાર્યું ત્યારે એવોર્ડ સેરીમનીમાં ઉપસ્થિત સૌએ આ અનસંગ હિરોને સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ સ્વ. મહાપાત્રાને આ અનસંગ હિરોના મરણોત્તર સન્માન માટે ભાવાંજલિ પાઠવી તેમની સેવા નિષ્ઠાની સરાહના કરી છે.