ગુજરાતના રાજકોટમાં ‘ગેમ ઝોન’માં આગની ઘટનાને એક મહિનો પૂરો થવા પર શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના કારણે મંગળવારે અહીંના મુખ્ય બજારો નિર્જન રહ્યા હતા અને અન્ય સંસ્થાઓ પણ ખુલી ન હતી. વિપક્ષ કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલા ‘રાજકોટ બંધ’ના સમર્થનમાં શાળાઓ, કોલેજો, ટ્યુશન સેન્ટરો, સોના અને ઝવેરાત બજારો અને અન્ય વેપારી સંસ્થાઓ પણ બંધ રહી હતી. કેટલાંક વેપારી સંગઠનોએ મંગળવારે ધંધા-રોજગાર બંધ રાખવાની જાહેરાત કરીને કોંગ્રેસના હડતાળના એલાનને સમર્થન આપ્યું હતું.
બંધના એલાનની કોંગ્રેસે કરી ઘોષણા
25 મેના રોજ રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’માં આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં કોંગ્રેસે મંગળવારે અડધા દિવસના બંધનું આહ્વાન કર્યું હતું અને મૃતકોના પરિવારોને વધુ વળતરની માંગ કરી હતી. તેણે મૃતકોના પરિવારોને ન્યાય આપવાની અને રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસની પણ માંગણી કરી છે. મૃતકના પરિવારજનોએ પણ બંધની અપીલ કરી હતી.
25મેના રોજ થયો હતો ગેમઝોન કાંડ
TRP ગેમઝોન કાંડમાં માર્યા ગયેલા લોકોના કેટલાક સંબંધીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા 22 જૂને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. 25 મેના રોજ ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા વિના આ ગેમ ઝોન ચલાવવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
કોંગ્રેસે વેપારીઓનો માન્યો આભાર
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, પ્રદેશ પક્ષના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અન્ય સ્થાનિક નેતાઓએ બંધને “સફળ” બનાવવામાં સહકાર આપવા બદલ વેપારીઓનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ