બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પણ ધબડકો જારી રાખ્યો છે. ભારતના 314 રનના જવાબમાં બાંગ્લાદેશે ત્રીજા દિવસની રમતના અંતે લંચ પડ્યો ત્યારે 4 વિકેટે 71 રન કર્યા હતા. ભારતથી તે હજી પણ 16 રન પાછળ છે અને તેના ટોચના ચાર બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ચૂક્યા છે. લંચ ટાઇમે ઝાકિર હસન 37 અને લિટન દાસ શૂન્ય રને રમતમાં છે. બાંગ્લાદેશે ચોથી વિકેટ બરોબર લંચ પહેલા ગુમાવી હતી.
ભારત તરફથી અશ્વિન, ઉનડકટ, સિરાજ અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી છે. આમ બધા બોલરોએ જબરજસ્ત ફાળો આપ્યો છે. હવે જો ભારતીય બોલરોનું પર્ફોર્મન્સ આવું જ રહ્યું તથા બાંગ્લાદેશ તરફથી સારી ભાગીદારી ન કરી કે મોટો સ્કોર ન કર્યો તો મેચ આજે પૂરી થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
ત્રીજા દિવસની રમત શરૂ થતાં જ ભારતના બોલરોએ બાંગ્લાદેશના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવ્યું હતું. અશ્વિને શાંતોના રૂપમાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શાંતોએ 31 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ પછી બેટિંગ કરવા આવેલા મોમુનાલ હક પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. સિરાજ 5 રનના અંગત સ્કોર પર પંતના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન શાકિબ-અલ-હસન પણ વિકેટ પર લાંબો સમય ટકી શક્યો નહોતો અને 13 રન બનાવીને અનડકટનો શિકાર બન્યો હતો.
આ પહેલા ભારતીય ટીમે બાંગ્લાદેશના પ્રથમ દાવમાં બનાવેલા 227 રનના જવાબમાં 314 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે 93 અને શ્રેયસ અય્યરે 87 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને લીડ અપાવી હતી. બંનેએ 5મી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે 4-4 વિકેટ લીધી હતી. આમ ભારતે બાંગ્લાદેશ પર 87 રનની સરસાઈ મેળવી હતી.
આ પણ વાંચોઃ