સુરતની 11 વર્ષની બાળ કથાકાર ભાવિકા એ જે કરીને બતાવ્યું છે તે જાણ્યા બાદ સૌ કોઈ અચરજમાં મુકાઈ રહ્યા છે. નાના બાળકોને આપણે હંમેશા મોટા કામની બાબતમાં અવગણતા હોઈએ છીએ, પરંતુ ભાવિકા એ જે કરીને બતાવ્યું છે તે જાણી અને ઉંમરના આધારે મૂલવવાની આપણી માન્યતા આપણે બાજુ પર મૂકવી પડે તેમ છે. વાત જાણે એમ છે કે ભાવિકા એ આટલી નાની ઉંમરમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. એટલું જ નહીં તે લોકોને પણ મંદિર નિર્માણ માટે દાન દેવાની અપીલ કરી રહી છે.ભાવિકા રામ કથાનું વાંચન કરે છે અત્યાર સુધી તેણે 4 સ્થળો પર રામકથાનું વાચન કર્યું છે. તેના દ્વારા મળેલા રૂપિયાને તેને રામ મંદિર નિર્માણ ફંડમાં જમા કરાવ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે હાલ સમગ્ર દેશભરના લોકો સમર્પણ પૂર્વક ફંડ એકત્ર કરી રહ્યા છે, ત્યારે આ બાળ કથાકારે પણ મોટું યોગદાન આપ્યું છે.
લોકડાઉનમાં કર્યું ભગવદ્ ગીતાનું અધ્યયન
ભાવિકા એ લોકડાઉન દરમિયાન જલારામ મંદિર માટે નાણાં એકત્ર કરવાનું પ્રણ લીધું હતું. આ માટે તેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હતું અને હવે રામકથા કરી અને ફંડ એકત્ર કરી રહી છે.આ વિશે ભાવિકા જણાવે છે કે રામાયણના પાઠ કરતી વખતે તેને ભગવાન શ્રી રામના અસ્તિત્વ અને તેની મહત્તા વિશે જાણ થઈ હતી. જેના કારણે તેણે પણ દીધું હતું કે પોતે મંદિર નિર્માણ માટે ફાળો એકત્ર કરશે.
રામકથા સાંભળનારા મંદિર માટે દાન કરે છે
ભાવિકા અત્યાર સુધી ચાર રામકથાઓ કરી છે જેમાં તેણે 50 લાખ રૂપિયા એકત્ર કરી લીધા છે. આ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે તેણે જમા પણ કરાવી દીધા છે.ભાવિકા જણાવે છે કે રામમંદિર નિર્માણ થઇ ગયા બાદ તેની આ કામગીરી ચાલુ રહેશે.જ્યારે વ્યાસપીઠ પર બેસીને ભાવિકા રામ કથા સંભળાવે છે ત્યારે લોકો તેને સાંભળતા જ રહી જાય છે. આટલી નાની ઉંમરમાં રામકથા કરનારી કદાચ ભાવિકા પ્રથમ જ હશે. ભાવિકા હાલ છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની છે.
રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર છે : ભાવિકા
ભક્તોને સંબોધિત કરતા 11 વર્ષની બાળ વ્યાસ ભાવિકા જણાવે છે કે રામ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર છે. ભારતની આત્મા ભગવાન રામમાં વસે છે. આજે એવી સ્થિતિમાં જ્યાં સામાજિક સંરચના વિખેરાઇ રહી છે એવા માત્ર રામાયણ જ આપણને સાચું દિશાસૂચન કરી શકે છે.રામાયણના સાત કાંડ માનવ જીવનની પ્રગતિની સાત સીડીઓ બરાબર છે. તેના વાંચન અને મનન કરવાથી મનુષ્ય સુખી જીવનને પ્રાપ્ત કરી શકે છે.ભાવિકા વધુમાં જણાવે છે કે આજે બાળકો ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. જેના કારણે અપરાધ વધી રહ્યા છે. પરંતુ રામાયણની વાતોને આત્મસાત કરી અને આપણું જીવન બદલાઈ શકે છે.રામાયણ માત્ર ધર્મ ગ્રંથ નથી પરંતુ તે એક સામાજિક શાંતિ અને નૈતિક શાંતિનું મહાકાવ્ય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…