ભુજ,
ભુજના ટીનસીટી ગ્રાઉન્ડ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 21 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે આ મૂર્તિ કચ્છની જ નહિ પરંતુ ગુજરાતમાં સૌથી મોટી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ છે.
ગ્રૂપના રાહુલ ગોરના જણાવ્યાનુસાર સતત 18માં વર્ષે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ભુજમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની 21 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી મૂર્તિ ઘાસ અને માટીથી બનાવવામાં આવી છે. મૂર્તિ માટે વિશેષ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
દર્શનાર્થીઓ માટે વોટરપૃફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજીત 10 હજાર જેટલા ભક્તોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગણેશોત્સવમાં દરરોજ મહાઆરતી સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
શુક્રવારે રાસ ગરબા, શનિવારે ડાન્સ ચેમ્પિયનશીપ, રવિવારે મેસેજ સોંગ, સોમવારે ક્ચ્છ ગોટ ટેલેન્ટ અને મંગળવારે જય વસાવડાનાં વક્તવ્ય રાખવામાં આવ્યું છે.
બુધવારે સવારે સાડા દસ કલાકે ભુજથી માંડવી દરિયાકીનારે ગણેશજીની પ્રતિમા વિસર્જન માટે પ્રસ્થાન કરવામાં આવશે.ગણેશ ચતૂર્થી નિમિતે ભુજ ઉપરાંત આસપાસના ગામડાઓ અને તાલુકાઓમાંથી ભક્તો ગણેશજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.