નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને એક અગત્યનો નિર્ણય લીધો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં પાર્ટીએ નિર્ણય લીધો છે કે આગામી લોકસભાની ચૂંટણી પણ પાર્ટી અમિત શાહના નેતૃત્વ હેઠળ જ લડશે. મૂળ વાત એવી છે કે, જાન્યુઆરી 2019માં અમિત શાહનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરંતુ ભાજપ માટે આગામી લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની છે, જેને ધ્યાનમાં રાખીને બીજેપીએ પોતાનાં પાર્ટીની આંતરિક ચૂંટણીને એક વર્ષ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી અમિત શાહનો કાર્યકાળ એક વર્ષ માટે વધી ગયો છે અને વર્ષ 2019 સુધી તેઓ જ પાર્ટીના અધ્યક્ષ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે અમિત શાહની અધ્યક્ષતા હેઠળ પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં 2014 કરતાં વધુ બહુમતી સાથે સરકાર બનાવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત પાર્ટીએ પોતાની આ બેઠકમાં ‘અજય ભાજપા’નાં નારાને અપનાવ્યો હતો.
આ ઉપરાંત મળેલી પ્રાપ્ત માહિતી અનુસાર, મિટિંગમાં આ વર્ષનાં અંત સુધીમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોની યોજાનારી વિધાન સભાની ચૂંટણીમાં વિજયી થવા માટે પૂરી મહેનત કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહીત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે વિશેષ મહેનત કરવા માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે એમ અમિત શાહે જણાવ્યું હતું.
અમિત શાહે એવો પણ દાવો કરતા જણાવ્યું હતું કે, ‘ભાજપાને પૂરો વિશ્વાસ છે કે તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં 2014ની લોકસભા ચૂંટણી કરતા વધારે બહુમત સાથે જીત નોંધાવશે.’ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્ય સરકારનાં અધ્યક્ષોની બેઠક બાદ પાર્ટીનાં રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજવામાં આવશે.