- સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ વડા સી આર પાટીલને પણ દિલ્હીનું તેડું
- આગામી ચૂંટણીની વ્યૂહરચના અને ઉમેદવારોના નામ પર વિચારવિમર્શ થશે
- આંતરિક અસંતોષને હવા ન મળે અને જૂથવાદ ન વકરે તે માટે અપનાવાયો આ વ્યૂહ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને દિલ્હીનું તેડુ આવ્યું છે. પાર્ટી હાઈકમાન્ડ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીની છેલ્લી ઘડીની તૈયારીઓ અંગે મનોમંથન કરવામાં આવશે. આમ ભાજપનો વ્યૂહ અહીં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય પછી જ ઉમેદવારોને જાહેર કરવાનો છે, જેના લીધે ભાજપની અંદર આંતરિક અસંતોષને ઝાઝી હવા ન મળે. તેની સાથે ચૂંટણી હાકલા પડકારો વચ્ચે પક્ષના નામે અત્યંત ટૂંક સમયમાં કાર્ય આટોપી શકાય.
આમ અસંતોષ હવે પકડે તે પહેલા જ ઉમેદવારો જાહેર કરીને તેમને તરત જ ચૂંટણીમાં લગાવી દેવાનો આબાદ વ્યૂહ અપનાવ્યો છે. તેના લીધે કોઈને અસંતોષ વ્યક્ત કરવાનો અને અસંતોષને વાચા આપવાની તક નહી મળે. તેના લીધે જૂથવાદનો જૂથવાદ પક્ષમાં જ રહી જશે. ભાજપમાં પણ આંતરિક સ્તરે ઘણા નેતાઓ છે, જેમને એકબીજા સાથે બનતું નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન મોદીએ કમરકસી લીધી છે અને એક પછી એક સભાઓ વાયુવેગે કરી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીની વ્યૂહરચના અને તેના ઉમેદવારો માટે મનોમંથન કરવા માટે સીએમ અન સીઆરને દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આપ એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યું છે ત્યારે ભાજપે હજી સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી. ભાજપ સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત થયા પછી ઉમેદવારોની જાહેરાત કરે છે,જેથી કાર્યકરોની અંદર તથા મોટા માથાઓમાં સંઘર્ષ ટાળી શકાય.
ગુજરાતના કોઈપણ ઉમેદવારની પસંદગી પર એક રીતે વડાપ્રધાન મોદીનો સિક્કો જ માનવામાં આવે છે. તેથી હજી સુધી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે મોદી હવે ક્યાં કોને ઉતારે અને ક્યાં કોને કાપે તે મોટો સવાલ મનાય છે. પીએમ અકલ્પનીય નિર્ણય લેવા માટે જાણીતા છે અગાઉ વિજય રૂપાણીની સમગ્ર સરકારના પીએમે સાગમતટે રાજીનામા માગી લીધા હતા.