અમદાવાદ,
અમદાવાદ અને ગુજરાત સહિત જાણીતો બનેલા વિસ્મય શાહ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં બંને પક્ષો સમાધાન કરવા તૈયાર થઇ ગયા છે. વિસ્મય શાહે કરેલાં અકસ્માતમાં મૃત્યુ પામનાર શિવમ દવે અને રાહુલ પટેલના પરિવારજનોએ સમાધાન કરવાનું નક્કી કર્યું છે. મૃતકના પરિવારજનોએ અગાઉ વળતર સ્વીકારવાની મનાઇ કરી હતી પરંતું હવે વળતર સ્વીકારીને સમાધાન કરી લીધું છે.
આ કેસમાં સમાધાન કરીને બંને પરિવારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, હવે તેઓ વિસ્મય સામે વધુ કોઈ કાર્યવાહી ઇચ્છતા નથી.
રોડ અકસ્માત કરીને બે યુવકોને મોતને ઘાટ ઉતારનાર વિસ્મય શાહને ટ્રાયલ કોર્ટે 2015માં પાંચ વર્ષની સજા ફટકારી હતી, તેની સામે વિસ્મય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર વિરુદ્ધ વિસ્મય શાહ કેસની સુનાવણી દરમિયાન બંને મૃતકોના પરિવારોએ વિસ્મય શાહ સાથે સમજૂતી થઈ હોવાની કોર્ટમાં રજુઆત કરી હતી. મૃતકોના પરિવારજનોએ સમજુતીની ફોર્મ્યુલા અંગેનું સોગંદનામું પણ હાઇકોર્ટમાં રજુ કર્યું હતું. આ સમાધાન મુજબ મૃતકના પરિવાર વિસ્મય સામે હવે કોઈ ફોજદારી કાર્યવાહી આગળ નહીં વધારે.
જો કે સમાધાનની ફોર્મ્યુલા અંગે હાઇકોર્ટના જસ્ટીસ સોનિયા ગોકાણી જણાવ્યું હતું કે, અપીલનો ચુકાદો આપતી વખતે જ અદાલત સમાધાનની ફોર્મ્યુલા અંગે તેનો દૃષ્ટિકોણ જણાવશે. સાદી ભાષામાં કહીએ તો આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલશે.
બંને મૃતકના પરિવારે સાડા ચાર વર્ષની સઘન કાનૂની લડત આપી હતી અને તેના પરિણામે વિસ્મયને પાંચ વર્ષની જેલ પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી 2013માં જજીસ બંગલા રોડ પર વિસ્મય શાહે તેની બીએમડબલ્યુ કાર પૂરઝડપે હંકારી કરેલા અકસ્માતમાં શિવમ દવે અને રાહુલ પટેલના મોત નિપજ્યાં હતાં.
મૃતકોના પરિવાર તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરનારા વકીલ જીત ભટ્ટે જણાવ્યું હતું કે ‘બંને કુટુંબો એ બાબતને સારી રીતે સમજે કે તેમના સંતાનો પાછા આવવાના નથી ત્યારે વળતર સ્વીકારવું એ જ તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.