બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક મુશ્કેલીમાં ફસાયા છે. હકીકતમાં મુંબઇ મહાનગર પાલિકાએ અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલાની કંપાઉન્ડ વોલને તોડવાની નોટિસ ફટકારી છે અને જો અમિતાભ બચ્ચન દ્વારા આ દિવાલને તોડી નહીં પડાય તો બીએમસી તેને તોડવાની કાર્યવાહી કરશે.
જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનનો પ્રતિક્ષા બંગલો જ્યાં બનાવાયો છે તેની સામેનો માર્ગ 45 ફૂટ પહોળો છે. રસ્તાની પહોળાઇ ઓછી હોવાથી અહીયા વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અગાઉ પણ રસ્તાને પહોળો કરવાનો પ્રસ્તાવ હતો અને તેને 60 ફૂટ સુધી પહોળો કરવાનો નિર્ણય લેવાયો હતો. અમિતાભ બચ્ચનની નજીકનો બંગલો ઉદ્યોગપતિ સત્યમૂર્તિનો છે, જેની દિવાલ પણ તોડી નાખવામાં આવી હતી.
એક વર્ષ પહેલા બીએમસીની નોટિસના પ્રત્યુત્તરમાં સત્યમૂર્તિએ આ મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને કારણે સ્ટે મુકાતા રસ્તાની કામગીરી ઠપ થઇ હતી જો કે બાદમાં હાઇકોર્ટે સત્યમૂર્તિને અરજીને ફગાવી હતી જેને કારણે હવે રસ્તાને પહોળો બનાવવાનું કામ પૂર્વવત થયું છે.