નવી દિલ્હી: રિલાયન્સ એડીએજી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી હવે ધીરે ધીરે પોતાના ઉત્તરાધિકારની યોજના બનાવી રહ્યા છે. બીએસના અહેવાલો મુજબ અનિલ અંબાણી પોતાના નાના પુત્ર જય અંશુલ અંબાણીને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરના પદ પર બેસાડવા માટેની યોજના બનાવી રહ્યા છે. અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણી પહેલાથી જ રિલાયન્સ કેપિટલ બોર્ડમાં ૨૦૧૬થી જોડાયેલા છે.
બીએસના અહેવાલમાં આંતરિક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, રિલાયન્સ ગ્રૂપના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસના અવસર પર ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જય અંશુલને બોર્ડમાં સામેલ કરવામાં આવી શકે છે. અનિલ અંબાણીએ પોતાની દેખરેખમાં જ બંને ભાઈઓને માર્ગદર્શન આપ્યું છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રવક્તાએ આ સમાચાર અંગે કહ્યું કે, ‘બજારની અફવાઓ ઉપર અમે ટિપ્પણી કરતા નથી. જો કે, આવા પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી.’
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઈશા અંબાણી બંનેય રિલાયન્સ જિયોના બોર્ડમાં સામેલ છે. બંનેએ જ 4G સેવા આપવા વાળી રિલાયન્સ જિયોને એક નવી ઉંચાઈ પર લઇ ગયા છે. આજે આ કંપનીએ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓની ઊંઘ હરામ કરી દીધી છે.
જય અંશુલના રિલાયન્સના બોર્ડમાં શામેલ થવાથી અંબાણી પરિવારનો વધુ એક સદસ્ય પોતાના પિતાના કારોબારની સાથે જોડાઈ જશે. રિલાયન્સ ઈન્ફ્રા સતત પોતાનું દેવું ઘટાડી રહી છે. કંપનીએ વર્ષ ૨૦૧૬માં પોતાના સિમેન્ટ કારોબારને બિરલા કોર્પને ૪૮૦૦ કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. આ ઉપરાંત ૧૮૮૦ કરોડમાં મુંબઈ પાવર ડિસ્ટ્રીબ્યુશનના કારોબારને પણ અદાણી ટ્રાન્સમિશનને વેચી દીધો હતો. કંપનીની વર્ષ ૨૦૧૯ સુધીમાં કરજ (દેવાં)માંથી મુક્ત થઈ જવાની યોજના બનાવી છે.