નવી દિલ્હી,
દેશની રાષ્ટ્ર્કૃત બેન્કો દ્વારા પોતાના બચત કે ચાલુ ખાતા ધરાવતા ગ્રાહકોને પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોવાના કારણે ચાર્જ વસુલવામાં આવતો હોય છે અને કરોડો રૂપિયા બેંકો કમાતી હોય છે, ત્યારે હવે વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રાહકોની એક ચૂકના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ છેલ્લા ૪૦ મહિનામાં ૩૮ કરોડ ૮૦ લાખ રૂપિયા કમાયા છે.
દેશની સૌથી રાષ્ટ્રીય બેંક SBI દ્વારા આ રકમ માત્ર ચેક પર સાઈન મેચ ન થવાના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાંથી રૂપિયાની વસુલી કરી છે.
એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતીય સ્ટેટ બેંક દ્વારા છેલ્લા ૪૦ મહિનામાં ૨૪ લાખ ૭૧ હજાર ૫૪૪ ચેકમાં હસ્તાક્ષર મેચ ન થવાના કારણે પાછા મોકલ્યા છે.
સ્ટેટ બેન્કના ચેક રિટર્ન અંગે કરવામાં આવેલી એક RTIના જવાબમાં સામે આવ્યું છે કે, બેંક ચેક રિટર્ન થવા પર ૧૫૦ રૂપિયા ચાર્જ વસુલે છે અને આ ચાર્જ પર પણ GST લાગે છે. જેથી આ ચાર્જની રકમ GST સાથે ૧૫૭ રૂપિયા થઇ જાય છે.
છેલ્લા ચાર વર્ષમાં પાછા મોકલવામાં આવેલા ચેક :
વર્ષ ચેક રિટર્ન
૨૦૧૫-૧૬ : ૬,૦૦,૧૬૯
૨૦૧૬-૧૭ : ૯,૯૨,૪૭૪
૨૦૧૭-૧૮ : ૭,૯૫,૭૬૯
૨૦૧૮-૧૯ : ૮૩,૧૩૨ (માત્ર એપ્રિલ મહિનામાં)
એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોવાના કારણે SBI કમાયા ૧૭૭૧ કરોડ રૂપિયા
આ પહેલા સામે આવેલા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ભારતીય સ્ટેટ બેંક દ્વારા ગ્રાહકો દ્વારા મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે ૧૭૭૧ કરોડ રૂપિયા વસુલ કર્યાં હતા.
ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, SBI દ્વારા વસુલ કરવામાં આવેલો આ ચાર્જ બેન્કના ત્રિમાસિક ગાળાના નેટ પ્રોફિટ કરતા પણ વધુ હતો. ગત નાણાકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળાનો નેટ પ્રોફિટ ૧૫૮૧.૫૫ કરોડ રૂપિયા હતો.