ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર આઝાદ દિલ્હીની જામા મસ્જિદ પહોંચી ગયા છે. ચંદ્રશેખરે અહીં નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા લોકોને પોતાનો ટેકો આપ્યો હતો. ચંદ્રશેખર સાથે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. 26 દિવસ પહેલા સીએએ કાયદાનાં વિરોધમાં દિલ્હી પોલીસ દ્વારા ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે જ કોર્ટે દિલ્હી છોડવાની શરતે ચંદ્રશેખરને જામીન આપી દીધા હતા.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને ગુરુવારે રાત્રે તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જે પછી, શુક્રવારે સવારે તેઓ પહેલા દિલ્હીનાં રવિદાસ મંદિર, ત્યારબાદ ગુરુદ્વારા અને ચર્ચ ગયા હતા. આ પછી હવે તે જામા મસ્જિદ પહોંચી ગયા છે. શુક્રવારે સાંજે, તે સહારનપુરનાં તેમના ગામે જશે, કારણ કે કોર્ટે ચંદ્રશેખરને ચાર સપ્તાહ માટે દિલ્હી ન આવવાની અને 16 ફેબ્રુઆરી સુધી કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવાની શરતે છોડ્યા છે.
ચંદ્રશેખર આઝાદની સંસ્થા ભીમ આર્મીએ 20 ડિસેમ્બરનાં રોજ જામા મસ્જિદથી જંતર મંતર સુધીની સીએએ વિરુદ્ધ એક પદયાત્રા કાઢી હતી. જેની પોલીસે મંજૂરી આપી ન હોતી. જે બાદ પોલીસે આઝાદની ધરપકડ કરી હતી. 21 ડિસેમ્બરે ચંદ્રશેખરને અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ પછી આઝાદને 16 જાન્યુઆરીએ છૂટો કરવામાં આવ્યો હતો.
તીસ હજારી કોર્ટ તરફથી શરતી જામીન મેળવ્યા બાદ ચંદ્રશેખરે કહ્યું હતું કે, તેઓ આંદોલન ચાલુ રાખશે, જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચાય નહીં ત્યાં સુધી બંધારણીય રીતે આંદોલન ચાલુ રાખવામા આવશે. અમે દેશનાં ભાગલા પાડવા માંગતા લોકોની વિરુદ્ધ છીએ. તેમણે જામીનની શરતો અંગે કોર્ટમાં અરજી કરવાની પણ વાત કહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.