વાપી,
વાપી તાલુકાના છરવાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૫ ના વર્ગો ચાલે છે. પરંતુ વર્ષજૂની આ ઇમારતના વર્ગ ખંડ જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે કકડભૂસ થવાની સંભાવના છે અને શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ છે.
જે અંગે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ભાવિક પટેલે તાલુકા વિકાસ અધિકારીને જર્જરીત બનેલા શાળાના ઓરડાના ફોટા સાથે લેખિતમાં જાણ કરી છે. તેમ છતાં વલસાડ શિક્ષણ વિભાગ જાણે ઘોર નિદ્રામાં પોઢી રહયું હોય તેમ હજી સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
જર્જરિત ઓરડાને કારણે ગમે ત્યારે અનિચ્છનીય ઘટના બને તેમ છે. તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર અને શિક્ષણ વિભાગને પણ જાણ કરાઈ છે.
એકબાજુ સરકાર સર્વ શિક્ષા અભિયાનની મોટી મોટી જાહેરાતો કરે છે. તો બીજી બાજુ છરવાડાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહયા છે. તો સર્વ શિક્ષા અભિયાનની વાતો કયારે સાર્થક થશે તેવો સવાલ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.