બિહારના લોક જનશક્તિના ચિરાગ પાસવાન અમિત શાહ અને જેપી નડ્ડાને મળીને એનડીએમાં સામેલ થયા હતા. જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ ચિરાગે એનડીએ ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ચિરાગ એનડીએમાં સામેલ થવા અંગે ટ્વિટર પર માહિતી આપતા જેપી નડ્ડાએ તેમના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
મળતી માહિતી મુજબ NDA ગઠબંધનમાં સામેલ થતા પહેલા ચિરાગ પાસવાને બીજેપી સામે કેટલીક ખાસ શરતો રાખી હતી. આ શરતોમાં 2024ની લોકસભા ચૂંટણીમાં એલજેપી (રામ વિલાસ)ને છ બેઠકો અને મોદી કેબિનેટમાં સ્થાન આપવાનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓને મળ્યા પહેલા ચિરાગ પાસવાન કેન્દ્રીય મંત્રી અને બિહારમાં બીજેપીના વરિષ્ઠ નેતા નિત્યાનંદ રાયને બે વાર મળ્યા હતા. ચિરાગ પાસવાન સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પુત્ર છે.
પીઢ દલિત નેતા રામવિલાસ પાસવાનની આગેવાની હેઠળ એલજેપીએ 2019માં છ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને ભાજપ સાથે બેઠક વહેંચણીની વ્યવસ્થા હેઠળ રાજ્યસભાની એક બેઠક પણ મેળવી હતી.