કોરોના મહામારીને લઈને આ વખતે જેલ તંત્રએ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર નહીં ઉજવાય. પરંતુ જેલમાં રહેલા બંદીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામનાં અને પાકા કામનાં કેદીઓ છે. કેટલાય એવા પણ કેદીઓ છે જે લોકો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ત્યારે વાત આવે છે કોરોના મહામારીની તો તેના કારણે જેલમાં કેદીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. માત્ર કેદીઓ જ નહીં પરંતુ જેલનાં અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. દર વર્ષે જે રીતે જેલમાં રહેલા કેદીઓને રાખડી બાંધવા અલગ કાર્યક્રમ કરવામાં આવે છે તે કાર્યક્રમ આ વખતે કોરોના મહામારીને કારણે નહીં થાય. દર વખતે જેલમાં રહેલા કેદીઓને બહેનો આવીને મુલાકાતી ખંડમાં તેઓને રાખડી બાંધતી હોય છે. પરંતુ આ કોરોનાની મહામારીનાં કારણે આ વખતે રક્ષાબંધન જેલમાં નહીં ઉજવાય એવો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
જેલ પ્રશાસન દ્વારા એક પણ કેદીનો હાથ તેની બહેનની રાખડી વગરનો ન રહે તે માટે અલગથી વ્યવસ્થા ઊભી કરી છે. જેલમાં રહેલા કેદીઓનાં પરિવારજનોને આ બાબતે જાણ પણ કરવામાં આવી છે રૂબરૂ તો રક્ષાબંધન નહીં ઊજવી શકે પરંતુ એક પણ કેદીનો હાથ ખાલી ન રહી જાય તેનું ધ્યાન જેલ પ્રશાસન રાખી રહ્યું છે. જેલ દ્વારા કેદીઓનાં પરિવારજનોને જાણ કરી રાખડી પોસ્ટ કુરિયર અથવા રૂબરૂ નવી જેલ અને જુની જેલ ખાતે જમા કરાવવા જાણ કરવામાં આવી છે. જ્યારે પણ આ રાખડીઓ આવી જશે ત્યારે તેમના પરિવારનાં સભ્ય એટલે કે જેલમાં રહેલા તે દિવસ સુધી આ રાખડી મોકલી અપાશે. કહેવાય છે કે જેલમાં રહેલા કેદીઓ જ્યારે ગુનો આચરીને જેલમાં આવ્યા હોય ત્યારે તેમના પ્રત્યે કોઈ દયાભાવ રખાતું નથી, લોકોની આ માનસિકતા હવે જેલ પ્રશાસને બદલી છે અને અભૂતપૂર્વ નિર્ણય આ કેદીઓ માટે લીધો છે. કેદીઓ પ્રત્યેનાં માનવતા ભર્યા નિર્ણયને ખુદ કેદીઓ પણ સ્વીકારે છે અને જેલ પ્રશાસનનો આભાર માની રહ્યા છે.
કોરોના મહામારી દરમિયાન સેન્ટ્રલ જેલમાં પેરોલ ઉપરથી હાજર થયેલા કેદીઓને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા. 30 થી વધુ લોકોને કોરોના પોઝિટિવ પણ આવ્યો હતો અને તેથી કરીને જ ફરી સંક્રમણ ઊભું ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ હાલ ચાર જેટલા કેદીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય લોકો કોરોના ને મ્હાત આપીને જેલમાં ફરી હાજર થઇ ગયા હોવાનું પ્રશાનનું કહેવું છે. ત્યારે હવે આ કેદીઓ પોતાની બહેનની રાખડીની વિશ્વાસ સાથે રાહ જોઈને બેઠા છે અને કેદીઓનો રાખડી તેમની બહેન મોકલશે તે વિશ્વાસ જેલ પ્રશાસન પૂર્ણ કરાવશે.
ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.