નવી દિલ્હીઃ ગુજરાતમાં સીએમ બન્યાને એક વર્ષ પૂરુ કરનારા સીએમ ભૂપેન્દ્ર પટેલે અચાનક દિલ્હીની મુલાકાત લીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે સંયુક્ત રીતે સાડા ત્રણ કલાક બેઠક યોજી હતી. તેના પગલે ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અહીં મહત્વની વાત એ છે કે સીએમની પીએમ સાથે આ મુલાકાત ગુજરાતમાં વિપક્ષના વિધાનસભ્યોના રાજીનામા વચ્ચે યોજાઈ રહી છે. આ બેઠકમાં ગુજરાતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીએમે 12મી ડિસેમ્બરના રોજ તેમની બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ પૂરુ કર્યુ છે. અચાનક દિલ્હી જવાના લીધે અનેક પ્રકારની ચર્ચાને વેગ મળ્યો છે.
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં જંગી વિજય બાદ કેબિનેટ વિસ્તરણી પણ અટકળો ચાલી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તે સમયે ગુજરાતમાં ઉતરાયણના તહેવાર પછી અનેક સવાલોના જવાબ મળે તેવી ચર્ચા છે.
આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમને આગામી મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અંગે પીએમને માહિતી આપી હતી. તેની સાથે રાજ્યના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ અને સીએમ વચ્ચેની આ મુલાકાતને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વે શું ગુજરાતમાં સરકાર કે સંગઠનમાં મોટાપાયા પર ફેરબદલ થઈ શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ