રાજ્યમાંથી ભુમાફિયાઓનો ખાત્મો કરવા અને જમીનદારો ( અસલ ) ની જમીનના રક્ષણ માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદાની રચના કર્યા બાદ તેને અમલમાં મૂકવામાં આવ્યું છે. આ કાયદાની ઉલ્લંઘન કરનારા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા હવે પોલીસ સજાગ થઈ ગઈ છે. આ કાયદાનું અમલમાં આવ્યા બાદ રાજ્યમાંથી ઘણા ખરા કેસો સામે આવ્યા હતા જેમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડીને તેમને જેલ ભેગા કરીને તેમને કાયદાનો ભાન કરાવ્યો છે. અને તાજેતરમાં જ આવો એક બનાવ રાજ્યમાં બન્યો છે.
વાત કરીએ તો હળવદના ઘણાદ ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવીને ત્રણ શખ્સોએ આ જમીનને પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ જમીનના મૂળ માલીકે ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ કરામશીભાઈ દોરાળાએ આરોપીઓ પ્રવીણભાઈ રાણાભાઈ, ચેતનભાઈ રાણાભાઈ અને મેલાભાઈ રણછોડભાઈ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, હળવદના ઘણાદ ગામે આવેલ ફરિયાદીની માલિકીની સર્વે નંબર 165 વાળી જમીન ઉપર આરોપીઓએ અગાઉ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો.
ફરિયાદી પોતાની જમીન ઉપર ખેતી કરવા ગયા ત્યારે આરોપીઓએ આ જમીન ઉપર વર્ષોથી અમે ખેતી કરીએ છીએ એટલે અહીંયા હવે પછી આવતા નહીં તેવું કહીને ધાક ધમકી આપી હતી. બાદમાં ફરિયાદી સમજાવતા હોવા છતાં પણ આરોપીઓએ મનમાની ચલાવીને તેમની જમીનને પચાવી પાડી હતી. આથી આ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.